બરૂમાળમાં જમીન વિવાદમાં હુમલો : ચારને ઇજા
- byDamanganga Times
- 16 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૫ ઃ ધરમપુર તાલુકાના બરૂમાળ ગુરુધામ ફળિયા ખાતે જમીન પર મકાન બાંધકામને લઈને થયેલા વિવાદમાં પ્રજ્ઞાબેન છોટુભાઈ ગાવિતની ફરિયાદના આધારે ગુલાબભાઈ જીવલ્યાભાઈ માહલા, મંગળભાઈ જીવલ્યાભાઈ માહલા, લતાબેન ગુલાબભાઈ માહલા તથા જગદીશ ઉર્ફે લાલુ ગુલાબભાઈ માહલા સામે ધરમપુર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ વર્ષોથી ચાલી રહેલા જમીન વિવાદ દરમિયાન થયેલી બોલાચાલી ઉગ્ર બનતાં આરોપીઓઍ પાવડો અને લાકડી વડે હુમલો કર્યો હતો. જેમાં રાધાબેન ગાવિત, ગંગાબેન, પ્રતિક ગાવિત અને ફરિયાદી પ્રજ્ઞાબેન ગાવિત ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને ૧૦૮ ઍમ્બ્યુલન્સ મારફતે ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ફરિયાદમાં ગંગાબેનના હાથમાં ફ્રેક્ચર, પ્રતિક ગાવિતની ડાબી આંખ પાસે ગંભીર ઇજા તેમજ રાધાબેન અને પ્રજ્ઞાબેનને પણ શરીરે ઇજાઓ પહોંચી હોવાનું જણાવાયું છે.
ફરિયાદમાં આરોપીઓઍ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ધરમપુર પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
