તિથલ સરકારી આયુર્વેદ દવાખાનામાં યોગ વિષય પર વ્યાખ્યાન યોજાયું
- byDamanganga Times
- 13 June, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૨ ઃ રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામકશ્રી, આયુષ કચેરી, ગાંધીનગર દ્વારા ેરિત તેમજ વલસાડ જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી નિમિત્તે ૧૦૦ દિવસ અંતર્ગત કરવાનાં થતાં વિવિધ કાર્યક્રમો હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનુ તિથલના મેડિકલ ઓફિસર ડો. ધર્મિષ્ઠા પટેલ દ્વારા અનુભવ ટ્રસ્ટ સંચાલિત વ્યસન મુક્તિ કેન્દ્ર વલસાડ ખાતે ‘‘યોગ દ્વારા વ્યસન મુક્તિ’’ આત્મશક્તિ તરફ ઍક યાત્રા’’ વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડો. ધર્મિષ્ઠા પટેલે વ્યાખ્યાનમાં જણાવ્યું કે, માણસ માનસિક તણાવ અને આદતોના દુષ્ચક્રના કારણે વ્યસન કરે છે. જે ઘણા ઓછા સમય માટે આનંદ આપે છે પણ લાંબા ગાળે નુકસાન કરે છે.
જ્યારે યોગ કરવાથી શરીર, મન અને આત્મા વચ્ચે સમતુલન જળવાય છે. અષ્ટાંગ યોગના ૮ અંગો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રતિહાર, ધારણા, ધ્યાન, સમાધિ અંગે વિસ્તૃત સમજ આપી હતી. વ્યસન મુક્તિ માટે યોગ કેવી રીતે મદદ કરે છે તે અંગે તેમણે જણાવ્યું કે, યોગ મન ઉપર નિયંત્રણ આપે છે, ઈચ્છાઓ પર કાબૂ રાખે છે, શારીરિક શક્તિ અને મનોબળમાં વધારો કરે છે, આંતરિક શાંતિ આપે છે. ધ્યાન (મેડિટેશન)થી મનને શાંત અને સ્થિર રાખી શકાય છે. આકર્ષણ અને આદતમાંથી મુક્તિ મળે છે. નિયમિત યોગ અને પ્રાણાયામ દિવસ દરમિયાન ખૂબ જ લાભદાયી છે. રાજ્ય સરકારના ‘‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’’ અભિયાન હેઠળ યોગની સાથે સાથે પ્રાણાયામ પણ શીખવાડવામાં આવ્યા હતા.