વાંસદા પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ પડતા ખેડૂતોને ભારે નુકશાન
- byDamanganga Times
- 29 May, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાંસદા, તા. ૨૮ ઃ વાંસદામાં રાત્રે અચાનક પવનના સુસવાટા સાથે ધોધમાર પડેલ વરસાદના પગલે ખેડૂતોમાં ડાંગર અને કેરીના પાકને વ્યાપક નુકસાન થવાની ચિંતા જોવા મળી રહી છે. કેટલાકના મકાનના પતરા ઉડતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો.
વાંસદા પંથક સહિત અનેક વિસ્તારમાં તા. ૨૬મે ના રોજ રાત્રે વાતાવરણમાં પલટો આવી વીજળીના કડાકા અને જોરદાર પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. રાત્રે ૧૦ થી ૧૨ વાગ્યા સુધી બે કલાકમાં જ ૧.૫ ઈંચ વરસાદ નોંધાયો હતો. કમોસમી પડેલ વરસાદના પગલે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જેમા ખેડૂતોઍ કરેલ ઉનાળુ ડાંગરનો પાક કાપીને ખેતરોમાં રેડી હતો, જે વરસાદમાં પલળી જતા ભારે નુકસાન થવા પામ્યું છે. આંબાની વાડીઓમાં પણ કેરીના પાક ને મોટુ નુકશાન થવાની વેપારીઓ અને ખેડૂતોમાં ચિંતા સેવાઈ રહી હતી. તેમજ વાવાઝોડામાં લીમઝર ગામે ડુંગરપાડામાં રહેતા ઘનશ્યામભાઈના ઘરના નળિયા અને પતરા ઉડી જતા મોટું નુકસાન થયું હતું. જ્યારે નાની ભમતી ગામે જાહેર માર્ગ પર વૃક્ષ તૂટી પડ્યું હતું. આમ વાવાઝોડું અને વરસાદના કારણે ખેડૂતો મકાન, કેરી અને ડાંગરના ઉભા પાક ને વ્યાપક નુકસાન થતા મુઝવણમાં મુકાયા હતા.