ભીલાડમાં પર્યુષણ પર્વની ઉજવણી કરાઈ
- byDamanganga Times
- 18 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૭ ઃ ભીલાડ નગરમાં પાર્શ્વનાથ પ્રભુની છત્રછાયામાં પર્યુષણ પર્વની સુંદર આરાધના અને ભક્તિમય ધાર્મિક માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે પ્રભુજીના દ્વાર ખોલવાનો પાવન લાભ પદ્માવતી અમૃતલાલજી કિતાવત પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો. ત્યારબાદ સવારે ૧૦ વાગ્યે તપસ્વીઓ સાથે ભગવાન શ્રીની પાલખીયાત્રા ભક્તિ અને હર્ષોલ્લાસપૂર્વક કાઢવામાં આવી હતી. પાલખીયાત્રામાં જૈન સમાજના મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ જોડાયા હતાં. પૂજ્ય ગુરુમહારાજશ્રીના આશીર્વાદથી સમગ્ર ધાર્મિક વાતાવરણ વધુ ભાવમય બન્યું હતું. પાલખીયાત્રા દરમિયાન જૈનમ્ જયતિ શાસનમ્ઙ્ખ તથા ત્રિશલા નંદન વીરની, જય બોલો મહાવીરની જેવા જયઘોષથી સમગ્ર ભીલાડ નગર ગુંજી ઉઠ્યું હતું. ભગવાનની પાલખીયાત્રા સાથે તપસ્વીઓનો વરઘોડો પણ ઉત્સાહપૂર્વક કાઢવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમાજના સભ્યો તથા ટ્રસ્ટી મંડળ દ્વારા તમામ તપસ્વીઓની સુખ-શાતા પૂછી તેમની તપસ્યાની ભૂરીભૂરી અનુમોદના કરવામાં આવી હતી. પર્યુષણ પર્વ નિમિત્તે ભીલાડ જૈન સમાજમાં ભક્તિ, તપ અને આરાધનાનો પાવન માહોલ જોવા મળ્યો હતો.
