ગણેશ મહોત્સવ પૂર્વે વાપીમાં રસ્તા સુધારવાની કામગીરી પૂરજોશમાં
- byDamanganga Times
- 11 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૦ ઃ વાપી પંથકમાં આગામી દિવસોમાં આવી રહેલા ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખીને વાપી મહાનગરપાલિકાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન ખરાબ થયેલા રસ્તાઓ તેમજ રસ્તા પર પડેલા ખાડાઓને રિપેર કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે.
છેલ્લા ત્રણ દિવસથી મહાનગરપાલિકા દ્વારા બલીઠા કસ્ટમ રોડ, બલીઠાથી મોરાઈ સહિતના માર્ગો પર ખાડાઓ અને ખરાબ થયેલા રસ્તાઓનું સમારકામ કરવામાં આવ્યું હતું. જ્યારે આજે વાપી દેસાઈવાડ ખાતે હનુમાન મંદિરથી નામધા મુખ્ય પ્રવેશદ્વાર સુધીના માર્ગ પર પણ રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ માર્ગોની ખરાબ હાલતને લઈ સ્થાનિકો અને રાહદારીઓ દ્વારા મહાનગરપાલિકાના મેયર દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયર મિતેશભાઈ દેસાઈ, સ્થાયી સમિતિના ચેરમેન સતિષભાઈ પટેલ તેમજ બાંધકામ વિભાગ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
રજૂઆતને પગલે પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાંધકામ વિભાગના અધિકારીઓ તેમજ સુપરવાઇઝરને જરૂરી સૂચનાઓ આપવામાં આવતા સંબંધિત માર્ગો પર રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ચોમાસા દરમિયાન રસ્તાઓ પર ખાડા પડી જતાં વાહનચાલકો તેમજ રાહદારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્ના હતો. હવે રિપેરિંગની કામગીરી પૂર્ણ થતાં આ માર્ગો પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોની મુશ્કેલીઓમાં ઘટાડો થશે. જોકે આગામી દિવસોમાં અન્ય રસ્તાઓ પર પડેલા ખાડા પુરવાની કામગીરી પણ ચાલુ જ રહેશે.
