વાપીમાં સૌરાષ્ટ્રવાસી મહિલાઅો દ્વારા બોળચોથે ગાય-વાછરડાની પૂજા કરાઈ
- byDamanganga Times
- 01 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૩૧ ઃ વાપીમાં વસતા સૌરાષ્ટ્રવાસી મહિલાઓ દ્વારા આજે શ્રાવણ વદ ચોથ ઍટલે કે બોળચોથના પવિત્ર દિવસે ગાય વાછરડાની પૂજા કરી ભોગ ચડાવી વ્રતની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર પંથક ના વાપી વિસ્તારમાં રહેતા પરિવારો દ્વારા આજે વાપીના દેસાઈવાડ ખાતે સાંજે પાંચ વાગ્યે મોટી સંખ્યામાં મહિલાઓ ઍકત્રિત થઈ ગાય અને વાછરડાની પૂજા કરી હતી. બોળચોથના દિવસે સૌરાષ્ટ્ર પંથકની મહિલાઓ પોતાના સંતાનોના દીર્ઘાયુ, સુખ, સમૃદ્ધિ અને પરિવારની સુખાકારી માટે વ્રત અને ઉપવાસ કરે છે. પરંપરા મુજબ મહિલાઓઍ ગાય અને વાછરડાને કંકુથી તિલક કરી, ચોખા અને ફૂલોની માળા અર્પણ કરી શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરી હતી. પૂજા બાદ ગાય તથા વાછરડાને બાજરી અને મગનો ભોગ ધરાવી ભોજન કરાવવામાં આવ્યું હતું. મહિલાઓઍ પોતાના સંતાનોના સુખ-સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણવાપી દેસાઈવાડ ખાતે બોળચોથની પરંપરાગત ઉજવણીમાં મહિલાઓઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
