વલસાડમાં પાલિકા સામે ખુદ ભાજપાના જ સભ્યની ભૂખ હડતાલ સમેટાઈ
- byDamanganga Times
- 19 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૮ ઃ વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર ૪ ના સભ્ય જ્યોત્સનાબેન રાઠોડ ૫ દિવસથી નગરપાલિકા કચેરીમાં ઉપવાસ આંદોલન પર બેઠા હતા. આ મામલે ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની સક્રિય મધ્યસ્થતા બાદ સુખદ અંત આવ્યો છે અને તેઓઍ પોતાનું આંદોલન સમેટી લીધું છે, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, વલસાડ-ડાંગ લોકસભા સાંસદ તેમજ લોકસભાના દંડક ધવલભાઈ પટેલ, વલસાડ જિલ્લાના પ્રભારી વિનયભાઈ શુક્લા અને વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ દ્વારા જ્યોત્સનાબેન અને ઍમના પરિવાર સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા અને હકારાત્મક સમજાવટ કરવામાં આવી હતી. આગેવાનોની રજૂઆત અને પ્રશ્નોના નિરાકરણની ખાતરી મળતાં તેમણે ઉપવાસ પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો હતો. આજરોજ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા તેમજ ધારાસભ્ય ભરતભાઈ પટેલે સ્થળ પર ઉપસ્થિત રહી જ્યોત્સનાબેન રાઠોડને પારણા કરાવી ઉપવાસનો અંત આણ્યો હતો.
