અતુલ ફાઉન્ડેશન દ્વારા વલસાડમાં આંગણવાડીઓનું લોકાર્પણ કરાયું
- byDamanganga Times
- 13 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૨ ઃ વલસાડ તાલુકાનાં અંતરિયાળ ગામો નવેરા, કચીગામ અને પંચલાઈ ખાતે બાળકોને સુવિધાયુક્ત અને સુરક્ષિત વાતાવરણમાં પ્રાથમિક શિક્ષણ, પોષણ અને સંભાળ મળી રહે તે હેતુથી અતુલ ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ અતુલ કંપનીનાં જનરલ મેનેજર ગૌતમભાઈ દેસાઈનાં શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતુલ ફાઉન્ડેશનનાં અધિકારીઓ, ગામનાં સરપંચ, આંગણવાડી કાર્યકર બહેનો, શિક્ષકો, વાલીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્ના હતાં.
ગૌતમભાઈ દેસાઈઍ જણાવ્યું હતું કે આંગણવાડી કેન્દ્ર માત્ર બાળકોના શિક્ષણ માટેનું સ્થળ નથી, પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ, પોષણ અને આરોગ્ય માટે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નવા આંગણવાડી કેન્દ્રમાં બાળકોને અનુકૂળ વાતાવરણ, જરૂરી પાયાની સુવિધાઓ તથા અભ્યાસ અને રમતગમત માટેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સુવિધાના કારણે ગામના નાના ભૂલકાઓને વધુ સારું અને સુવિધાયુક્ત વાતાવરણ મળશે જે તેમના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થશે.
આ પ્રસંગે સરપંચો આંગણવાડીની બહેનો, ગામનાં આગેવાનો તથા ગ્રામજનો દ્વારા નવનિર્મિત આંગણવાડીની ભેટ બદલ અતુલ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ આંગણવાડી કેન્દ્રનો યોગ્ય ઉપયોગ અને જાળવણી કરી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સૌ સાથે મળીને કાર્ય કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.
