સેલવાસમાં પ્રેમી સાથે રહેતી નવાદાની પરિણીતાની હત્યા
- byDamanganga Times
- 08 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૦૭ ઃ બિહારના નવાદા જિલ્લાના સિયુર ગામની રહેવાસી પરિણીતા છોટી કુમારીની સિલવાસામાં હત્યા કરીને તેનો મૃતદેહ ટ્રોલી બેગમાં છુપાવવામાં આવ્યો હોવાની ઘટનાઍ ચકચાર મચાવી છે. પોલીસને મૃતક સાથે લિવ-ઇન સંબંધમાં રહેતા યુવક પર હત્યાની શંકા છે. ઘટના બાદથી આરોપી ફરાર હોવાનું જાણવા મળ્યું છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ નવાદા જિલ્લાના રોહ પોલીસ સ્ટેશન વિસ્તારના સિયુર ગામની રહેવાસી છોટી કુમારી તરીકે થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ છોટી કુમારીના લગ્ન વર્ષ ૨૦૨૩માં થયા હતા. લગ્નના થોડા સમય બાદ તે પોતાના ગામના રહેવાસી ઋષભ કુમાર સાથે ચાલી ગઈ હતી. ત્યારબાદ બંને સિલવાસામાં ભાડાના મકાનમાં સાથે રહેતા હતા. પરિવારજનોઍ ઘણી શોધખોળ કર્યા બાદ રોહ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી.
ઘટનાનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે સિલવાસાના ભાડાના મકાનમાંથી દુર્ગંધ આવતાં સ્થાનિક લોકોઍ પોલીસને જાણ કરી. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ દરમિયાન ટ્રોલી બેગમાંથી મહિલાનો મૃતદેહ કબજે કર્યો. રૂમમાંથી મળેલા દસ્તાવેજોના આધારે મૃતદેહની ઓળખ છોટી કુમારી તરીકે થઈ હતી.પ્રાથમિક તપાસમાં પોલીસે તેના સાથે રહેતા ઋષભ કુમાર પર શંકા વ્યક્ત કરી છે. ઘટના બાદથી તે ફરાર હોવાનું જણાવાય છે. પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે તેમજ ફોરેન્સિક અને અન્ય ટેક્નિકલ પુરાવાઓના આધારે તપાસ આગળ વધારી રહી છે.
જરૂરી કાનૂની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ પોલીસે મૃતદેહ પરિવારને સોંપ્યો હતો. ત્યારબાદ સિલવાસામાં જ છોટી કુમારીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, જેમાં તેના પિતા મનીષ ઉપાધ્યાય સહિત પરિવારજનો હાજર રહ્ના હતા.
મૃતકના પિતા મનીષ ઉપાધ્યાયે આરોપ લગાવ્યો કે તેમની પુત્રી લગભગ ૭ લાખના દાગીના સાથે ઋષભ કુમાર સાથે ગઈ હતી અને દાગીના કબજે કરવા તેની હત્યા કરવામાં આવી. તેમણે ઋષભની બહેન અને બહેનાઈની સંડોવણી હોવાનો પણ આરોપ લગાવ્યો છે. જોકે, આ આરોપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે.
પોલીસે જણાવ્યું કે તપાસ ચાલુ છે અને મળતા પુરાવાઓના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મુખ્ય આરોપીની ધરપકડ માટે વિવિધ સ્થળોઍ શોધખોળ ચાલી રહી છે.
