તિઘરામાં ૩૭૫ ગાદલા અને તકિયાનું વિતરણ કરાયું
- byDamanganga Times
- 08 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૭ ઃ પારડી તાલુકાના તીઘરા ગામમાં ભારે વરસાદના કારણે નદીઓમાં આવેલા પૂરના પાણી ગામમાં ઘૂસી જતાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા અનેક પરિવારોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. પૂરના કારણે ઘણા પરિવારોની ઘરવખરી નાશ પામી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તીઘરા ગામના અનાવિલ સમાજના આગેવાન ભાર્ગવ દેસાઈ દ્વારા અસરગ્રસ્ત પરિવારોને મદદરૂપ થવા માટે ૩૭૫ ગાદલા અને તકિયાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભાર્ગવ દેસાઈઍ જણાવ્યું હતું કે પૂરના કારણે જેમની ઘરવખરી સંપૂર્ણપણે નાશ પામી છે અને જેમને તાત્કાલિક જરૂરિયાત છે, તેવા પરિવારો સુધી રાહત સામગ્રી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વિતરણ કાર્યક્રમ દરમિયાન ગામના આગેવાન હેમંતભાઈ દેસાઈ તથા તેમની ટીમ પણ ઉપસ્થિત રહી હતી અને રાહત વિતરણની કામગીરીમાં સહયોગ આપ્યો હતો.
