વલસાડની જમનાબાઈ સાર્વ. હાઈ.માં ૭૫૦ દફતરનું વિતરણ કરાયું
- byDamanganga Times
- 06 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૫ ઃ તાજેતરમાં આવેલી પૂરની હોનારતને કારણે અનેક પરિવારો પ્રભાવિત થયા છે, જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસર પડી છે. પૂરના કારણે અનેક બાળકોના પુસ્તકો અને દફતર પલળી ગયા હોવાથી કે તણાઈ ગયા હોવાથી તેઓ મુશ્કેલીમાં મુકાયા હતાં. આ કપરા સમયમાં વિદ્યાર્થીઓને મદદરૂપ થવાના ઉમદા હેતુથી ગોકુલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઍક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે.
જમનાબાઈ સાર્વજનિક હાઈસ્કૂલ માં પૂરગ્રસ્ત બાળકો માટે સ્કૂલ દફતર વિતરણનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત ગોકુલ ગ્રુપ તરફથી આશરે ૭૫૦ જેટલા પૂરગ્રસ્ત વિદ્યાર્થીઓને વિના મૂલ્યે સ્કૂલ બેગ (દફતર) આપવામાં આવ્યા હતા.
આ વિતરણ કાર્યક્રમમાં ગોકુલ ચેરીટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો, શાળાના આચાર્ય, શિક્ષકગણ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્ના હતાં. ગોકુલ ગ્રુપની આ સેવાકીય પ્રવૃત્તિ અને સામાજિક જવાબદારીને શાળા પરિવાર તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા ખુબ બિરદાવવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા આપામાં આવેલી આ સમયસરની શૈક્ષણિક સહાયથી બાળકોના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું અને તેઓ હવે ફરીથી નવા ઉત્સાહ સાથે પોતાના અભ્યાસ તરફ આગળ વધી શકશે. સમાજના અન્ય વર્ગો માટે પણ ગોકુલ ગ્રુપનું આ સેવાકાર્ય ઍક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
