૫૦ બાળકોનું શૈક્ષણિક અને પોષણ કાર્ય ખોરવાયું, તાત્કાલિક સહાયની માંગ
- byDamanganga Times
- 31 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૩૦ ઃ ભારે વરસાદના કારણે આવેલા પૂરમાં ઉમરગામ તાલુકાના બોરલાઇ ગામને ભારે નુકશાન થયું છે. ગામની પંચાયત કચેરી સહિત લગભગ ૮૦ ટકા ઘરોમાં પાણી ભરાયા હતા. આ પૂરમાં ટેમ્ભી ફળિયા ખાતે આવેલ આંગણવાડી કેન્દ્રનું મકાન ૨ દિવસ સુધી સંપૂર્ણપણે પાણીમાં ડૂબેલું રહ્નાં હતું. જેના કારણે મકાનના બારી-દરવાજા, અનાજ, ફર્નિચર, ઇલેક્ટ્રિક સાધનો અને વાયરીંગને વ્યાપક નુકશાન થયું છે. પાણીના વહેણમાં બાળકોના રેકોર્ડ, રજીસ્ટર અને મહત્વના દસ્તાવેજો પણ તણાઈ ગયા છે. હાલ આંગણવાડી કેન્દ્ર બંધ હોવાથી આશરે ૫૦ બાળકોનું શૈક્ષણિક કાર્ય અને પોષણ યોજના સંપૂર્ણપણે અટકી ગઈ છે. આસપાસ બાળકોને બેસાડી શકાય તેવી કોઈ સુરક્ષિત જગ્યા ઉપલબ્ધ ન હોવાથી આંગણવાડીનું તાત્કાલિક સમારકામ અને જરૂરી સામગ્રી પૂરી પાડવી ખૂબ જરૂરી છે.
આથી સ્થાનિક લોકો દ્વારા સેવાભાવી સંસ્થાઓ અને દાતાઓને બોરલાઇ ગામની ટેમ્ભી ફળિયા આંગણવાડી કેન્દ્રને પુનઃ શરૂ કરવા માટે રાહત સહાય અને જરૂરી સામગ્રી પૂરી પાડવા વિનંતી કરવામાં આવી રહી છે. આપના સહયોગથી ૫૦ બાળકોનું ભવિષ્ય સુરક્ષિત બની શકશે.
