ધરમપુર શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા અસરગ્રસ્તો માટે સહાય પહોંચાડાઈ
- byDamanganga Times
- 28 July, 2026
ધરમપુર, તા. ૨૭ ઃ અતિભારે વરસાદને પગલે અસરગ્રસ્ત બનેલા લોકોની મદદ માટે શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા માનવતાભર્યું રાહત અને સહાય કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થતા શ્રીમદ રાજચંદ્ર મિશન તેમજ નગરપાલિકા દ્વારા સંયુક્ત પણે અસરગ્રસ્ત પરિવારો અને જરૂરિયાતમંદો સુધી ભોજન તથા જીવનજરૂરિયાતની સામગ્રી પહોંચાડવામાં આવી હતી. રાહતકાર્ય અંતર્ગત વલસાડ જિલ્લા તથા ધરમપુર પોલીસ દળના માધ્યમથી અસરગ્રસ્તો માટે ખીચડી, શાક અને રોટલી સહિતના ૧,૪૬૫ ગરમ ભોજન તથા ૨૦૦ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ધરમપુર શહેરમાં પણ મિશન દ્વારા ખીચડી, શાક અને રોટલી સહિતના ૩૦૦ ગરમ ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ બાળકો તથા વયસ્કો માટે ૧૭૦ કપડાંના સેટ પણ જરૂરિયાતમંદોને આપવામાં આવ્યા હતા. અતિભારે વરસાદની વિકટ પરિસ્થિતિમાં જરૂરિયાતમંદ લોકો સુધી સમયસર ભોજન અને આવશ્યક સામગ્રી પહોંચાડી શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા માનવતાની અનોખી સેવા કરવામાં આવી હતી. આ સમગ્ર રાહત અને સહાયકાર્યમાં ધરમપુર નગરપાલિકા દ્વારા પણ સહયોગ આપવામાં આવ્યો હતો.
