વલસાડ જિલ્લામાં પુરગ્રસ્ત પરિવારોને રૂપિયા ઍક કરોડથી વધુની સહાય
- byDamanganga Times
- 27 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૬ ઃ વલસાડ જિલ્લામાં તાજેતરમાં થયેલા અતિભારે વરસાદના કારણે વ્યાપક નુકશાન થયું છે. વહીવટી તંત્ર દવારા અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય મળી રહે તે માટે કલેકટર નીતિન સાંગવાન, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતની રાહબરી હેઠળ ૧૫૦ ટીમો બનાવી ઝડપભેર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વલસાડ જિલ્લામાં પ્રવર્તમાન ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે નોંધપાત્ર નુકસાન થયું છે. આ કુદરતી આપત્તિને પહોંચી વળવા અને અસરગ્રસ્તોને મદદરૂપ થવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ, રાહત અને સહાય વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રા માહિતી મુજબ, પાણીમાં ડૂબી જવાથી ૮, મકાન પડવાથી ૨ અને અન્ય ૨ કારણોસર જિલ્લામાં અત્યાર સુધી ૧૨ માનવ મૃત્યું નોંધાયા છે. જેમાં ચાર મૃતકના પરિવાર જનોને રૂ. ૧૬ લાખની સહાય આપવામાં આવી છે. બાકીના ૮ કિસ્સાઓ માટે કાર્યવાહી પ્રગતિમાં છે. જ્યારે ૧ વ્યક્તિને ઈજા પહોંચી છે.
