ઉમરગામમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને સહાયની ચૂકવણી શરૂ
- byDamanganga Times
- 22 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૧ ઃ ઉમરગામ તાલુકામાં ભારે વરસાદને કારણે થયેલા મકાન તથા ઘરવખરીના નુકસાનના સર્વે બાદ અસરગ્રસ્ત પરિવારોને સરકારની નિયમિત જોગવાઈ મુજબ સહાય ચૂકવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તાલુકાના સરીગામ, સંજાણ, ભિલાડ, કરજગામ, પલગામ સહિતના વિવિધ ગામોમાં નુકસાનનું સર્વેક્ષણ પૂર્ણ કરીને લાભાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવી છે.
પ્રાથમિક માહિતી અનુસાર કુલ ૧૫૦ લાભાર્થીઓને ઘરવખરી સહાય તરીકે રૂ. ૧,૨૫,૦૦૦ ચૂકવવામાં આવ્યા છે. ઉપરાંત બે સંપૂર્ણપણે નુકસાન પામેલા મકાનો માટે રૂ. ૩,૯૦,૦૦૦, ઍક ૭૦ ટકા નુકસાન પામેલા મકાન માટે રૂ. ૩,૦૦૦, તેમજ ઍક કેટલ શેડ માટે રૂ.૧૯,૫૦૦ની સહાય મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત ત્રણ પાકા અને બે કાચા મકાનોને થયેલા નુકસાન બદલ કુલ રૂ.૫,૫૦,૫૦૦ની સહાય પણ ચૂકવવામાં આવી છે.
પ્રશાસન દ્વારા જણાવાયું છે કે સર્વેમાં પાત્ર ઠરેલા તમામ અસરગ્રસ્તોને તબક્કાવાર સહાય ચૂકવવામાં આવી રહી છે, જેથી વરસાદી આપત્તિથી થયેલા નુકસાન બાદ પરિવારોને તાત્કાલિક રાહત મળી શકે.
