ખાંભડામાં કંટ્રોલ સંચાલકને ગેરરિતીના કેસમાં ૫ વર્ષની સખત કેદ અને દંડ
- byDamanganga Times
- 18 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા.૧૭ ઃ ખાંભડા ગામે પંડિત દિન દયાળ ગ્રાહક ભંડાર સસ્તા અનાજની દુકાન ચલાવતા પ્રવીણ ગુલાબ પટેલ દ્વારા ગરીબો માટે આપવામાં આવતું અનાજ જેમાં ઘઉં, ચોખા, કેરોસીન જે ગરીબોને રેશનકાર્ડ ઉપર વિતરણ કરવાને બદલે ખુલ્લા બજારમાં ઊંચા ભાવે વેચી મારવા માટે પરવાનામાં જણાવેલ સ્થળ સિવાય અન્ય સ્થળે સંગ્રહ કરવામાં આવતો હોવાની ફરિયાદ વહીવટી તંત્રને થઈ હતી જે ફરિયાદના આધારે ચીખલી તાલુકા મામલતદારે તારીખ ૨૪.૭.૧૩ ના રોજ ખાંભડા ગામે જઈ રેડ પાડતા અનાજની દુકાન ધરાવતા સંચાલક પ્રવીણ ગુલાબ પટેલે ઘઉં, ચોખા અને કેરોસીનનો જથ્થો અન્ય જગ્યાઍ સંગ્રહ કરાતા જે અધિકારીઓઍ પકડી પાડ્યો હતો. ત્યારબાદ વધુ તપાસ કરી પકડાયેલ અનાજનો જથ્થો રૂપિયા ૩૨.૨૨૫ નો જથ્થો સરકારી હોવાનું બહાર આવતા તા.૧૨.૮.૧૩ના રોજ પ્રવીણ ગુલાબ પટેલ સામે ચીખલીના મામલતદાર યુ.ડી. મૈસુરિયા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી જે કેસ ચીખલી કોર્ટમાં ચાલી જતાં કોર્ટના જજ ઍસ.પી.દવઍ સરકારી વકીલ યોગેશભાઈ પટેલની ધારદાર રજૂઆતોને ધ્યાનમાં રાખીને સસ્તા અનાજની દુકાન ધરાવતા સંચાલક પ્રવીણ ગુલાબ પટેલને પાંચ વર્ષની સખત કેદની સજા અને રૂ. ૫૦,૦૦૦નો દંડ અને જો દંડ ભરવામાં કસુરવાર થાય તો વધુ ઍક વર્ષની સાદી કેદની સજા ફરમાવતો હુકમ કર્યો છે.
