ઉમરગામમાં વીજપુરવઠો અને નેટવર્ક સમસ્યાથી બેîક સેવા ખોરવાઈ
- byDamanganga Times
- 14 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૧૩ ઃ ઉમરગામ તાલુકામાં સાહના પ્રથમ દિવસે સોમવારે બે મુખ્ય બેંકોમાં ટેકનિકલ સમસ્યાઓ સર્જાતા ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સોળસુંબાની બેંક ઓફ બરોડા શાખામાં વીજ પુરવઠો બંધ રહેતા બેંકનું કામકાજ સંપૂર્ણપણે પ્રભાવિત થયું હતું, જ્યારે જીઆઇડીસી વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા શાખામાં નેટ કનેક્ટિવિટી ધીમી હોવાને કારણે ગ્રાહકોને કલાકો સુધી રાહ જોવી પડી હતી. સોળસુંબાની બેંક ઓફ બરોડા શાખામાં નાણા જમા કરવા અને ઉપાડવા આવેલા અનેક ગ્રાહકો કામકાજ બંધ હોવાનું જાણીને નિરાશ થઈ પરત ફર્યા હતાં.
બેંકના કર્મચારીઓના જણાવ્યા મુજબ વીજ પુરવઠો બંધ થાય ત્યારે વૈકલ્પિક વ્યવસ્થાની સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ ટેકનિકલ ખામીને કારણે તેનો ઉપયોગ થઈ શક્યો નહોતો. પરિણામે તમામ નાણાકીય લેવડદેવડ અટકી ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ પણ નેટ કનેક્ટિવિટી ખોરવાતા આ જ શાખામાં કેટલાક સમય માટે બેંકિંગ સેવાઓ પ્રભાવિત થઈ હતી.
બીજી તરફ, ઉમરગામ જીઆઇડીસી સ્થિત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા શાખામાં નેટવર્ક ધીમું હોવાથી ગ્રાહકોને લેવડદેવડ માટે લાંબી રાહ જોવી પડી હતી. બ્રાન્ચ મેનેજરના જણાવ્યા મુજબ સોમવારે સામાન્ય રીતે ગ્રાહકોની સંખ્યા વધુ હોય છે અને કર્મચારીઓની અછતને કારણે કામગીરી પર વધુ અસર પડે છે.
સાહના પ્રથમ જ દિવસે બેંકોમાં સેવા ખોરવાતા ગ્રાહકોમાં અસંતોષ જોવા મળ્યો હતો. ગ્રાહકોનું માનવું છે કે વીજ પુરવઠા અને નેટવર્ક જેવી સમસ્યાઓ માટે અસરકારક વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવે જેથી લોકોને વારંવાર ધક્કા ન ખાવા પડે અને બેંકિંગ સેવાઓ નિયમિત રીતે મળી રહે.
