વાપી સ્ટેશને હજારો મુસાફરો અટવાયા
- byDamanganga Times
- 09 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૮ ઃ મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે રેલવે વ્યવસ્થા ખોરવાતા વાપી રેલવે સ્ટેશન પર અનેક ટ્રેનો વિલંબિત અને કેટલીક રદ થતાં મોટી સંખ્યામાં મુસાફરો કલાકો સુધી અટવાઈ ગયા હતા. આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) વાપી શહેર સંગઠન દ્વારા રાહતરૂપ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.વાપી શહેર ભાજપના પ્રમુખ મનીષ દેસાઈ ના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર ના નાણાં અને શહેરી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી અને પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ મંગળવાર મધરાતથી બુધવાર વહેલી સવારે ૧ વાગ્યાથી ૫ વાગ્યા સુધી રેલવે સ્ટેશન પર અટવાયેલા મુસાફરોને ખીચડી અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રેન રદ થવા અથવા લાંબા વિલંબને કારણે મુશ્કેલીમાં મુકાયેલા મુસાફરોને આ સેવા પૂરી પાડવામાં આવી હતી. સેવા કાર્યમાં ભાજપ વાપી શહેર પ્રમુખ મનીષભાઈ દેસાઈ, મહામંત્રી વિરાજભાઈ દક્ષિણી, રીકેનભાઈ પટેલ, વાપી તાલુકા યુવા ભાજપ પ્રમુખ રાહુલભાઈ જયશવાલ, વાપી લોહાણા સમાજ પ્રમુખ મયુરભાઈ ચગ, તેજસ ભંડારી, અનિલ યાદવ સહિત અનેક કાર્યકર્તાઓ હાજર રહ્ના હતા. ભારે વરસાદના કારણે સર્જાયેલી અસાધારણ પરિસ્થિતિમાં મુસાફરોને તાત્કાલિક ભોજન ઉપલબ્ધ કરાવવાના આ પ્રયાસને મુસાફરો દ્વારા આવકાર મળ્યો હતો. જોકે, કેટલા મુસાફરોને ભોજન આપવામાં આવ્યું અથવા કેટલા પેકેટનું વિતરણ થયું તેની સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. વરસાદી સંકટ દરમિયાન વિવિધ સામાજિક અને રાજકીય સંસ્થાઓ રાહત કામગીરીમાં જોડાઈ રહી છે, ત્યારે ભાજપ વાપી શહેર સંગઠનનું આ સેવા કાર્ય પણ તેમાં ઍક નોંધપાત્ર પહેલ તરીકે સામે આવ્યું છે.
