ઉમરગામ તા.પં.ની કારોબારી અને સામાજીક ન્યાય સમિતિની રચના કરાઈ
- byDamanganga Times
- 30 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૨૯ ઃ ઉમરગામ તાલુકા પંચાયત ખાતે પ્રમુખ સંતોષભાઈની અધ્યક્ષતામાં આજે ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન તાલુકા પંચાયતની કારોબારી સમિતિ તેમજ સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવી હતી.
ભાજપ દ્વારા બંને સમિતિઓના ચેરમેન માટે મેન્ડેટ જાહેર કરવામાં આવ્યો હતો. જોકે, સમિતિઓની પ્રથમ બેઠકમાં ચેરમેનની સત્તાવાર વરણી કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું.
બેઠક દરમિયાન વિપક્ષના સભ્યોઍ તત્કાલીન મામલતદાર સ્વર્ગસ્થ દલપતભાઈના પરિવાર પ્રત્યે શોક સંદેશ પાઠવવાની તેમજ ભિલાડ રેલવે અન્ડરપાસ શરૂ કરાવવામાં મહત્વની ભૂમિકા બદલ વલસાડના સાંસદને પ્રશંસા પત્ર પાઠવવાની દરખાસ્ત રજૂ કરી હતી. આ મુદ્દે થોડો અસમંજસ સર્જાયા બાદ અંતે યોગ્ય ઠરાવ પસાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકનું સંચાલન તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું.
