Damanganga Times.

Damanganga Times.

June 28, 2026

બામટી ટેટુપાડામાં બે વર્ષથી ૭૧ ખેડૂતોને ઍક ટીપું પણ પાણી નહીં !

બામટી ટેટુપાડામાં બે વર્ષથી ૭૧ ખેડૂતોને ઍક ટીપું પણ પાણી નહીં !


(ભરત પાટીલ દ્વારા)

ધરમપુર, તા. ૨૮ ઃ ધરમપુર તાલુકાના બામટી ગામના ટેટુ પાડા વિસ્તાર માટે વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ લિ., ગાંધીનગર દ્વારા આશરે રૂ.૧ કરોડ ૭૯ લાખ ૬૭ હજારના અંદાજિત ખર્ચે ઉદ્વહન સિંચાઈ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. યોજનાનો મુખ્ય હેતુ ૧૪૦ હેક્ટર પિયત વિસ્તારના ૭૧ ખેડૂતોને સિંચાઈનું પાણી પહોંચાડવાનો હતો. પરંતુ યોજના અમલમાં આવ્યા બાદ લગભગ બે વર્ષ પૂર્ણ થવા આવ્યા હોવા છતાં આજદિન સુધી ઍકપણ ખેડૂતને ઍક ટીપું પણ પાણી મળ્યું નથી, જેના કારણે ખેડૂતોમાં ભારે નારાજગી અને આક્રોશ જોવા મળી રહ્ના છે.યોજના અંગે મળેલી માહિતી અનુસાર નદીમાંથી પાણી ઉપાડી પાઇપલાઇન મારફતે સંગ્રહ માટે બનાવાયેલા કૂવામાં પહોંચાડવાનું અને ત્યારબાદ ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડવાનું આયોજન હતું. આ માટે ત્રણ મોટર, રાઈઝિંગ મેઈન, પીવીસી પાઇપલાઇન સહિતની વિવિધ સાધન-સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું યોજનાના સાઇનબોર્ડ પર દર્શાવવામાં આવ્યું છે. તેમજ નદીથી કૂવા સુધી અને કૂવાથી લાભાર્થી ખેડૂતો સુધી પાણી પહોંચે તે માટે પાઇપલાઇન પણ નાખવામાં આવી છે. છતાં ખેડૂતોનો આક્ષેપ છે કે યોજના માત્ર કાગળો પૂરતી જ સીમિત રહી છે.સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ યોજના હેઠળ નદી કિનારે કૂવો પણ બનાવવામાં આવ્યો છે, પરંતુ આજદિન સુધી તેમાં પાણીનો સંગ્રહ થયો નથી અને ખેડૂતોને તેનો કોઈ લાભ મળ્યો નથી. વધુમાં, યોજનામાં લગાવવામાં આવેલા વીજ વાયરની ચોરી થઈ હોવાની ચર્ચાઓ પણ સામે આવી રહી છે, જેના કારણે સમગ્ર યોજનાને લઈને અનેક સવાલો ઊભા થયા છે.

ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવ્યા બાદ પાઇપલાઇન સહિતની કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. છતાં બે વર્ષ વીતી જવા છતાં ખેડૂતોને પાણીનો લાભ ન મળતા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી હોવાનું તેઓ જણાવી રહ્ના છે. સાથે જ સરકારના નાણાંનો યોગ્ય ઉપયોગ થયો છે કે કેમ તે અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે. બામટીના ટેટુપાડા વિસ્તારના ખેડૂતો અને ગ્રામજનોઍ તાત્કાલિક યોજનાને કાર્યરત બનાવી સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠાવી છે. 

સાથે જ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં પણ યોજના શરૂ નહીં થાય અને ખેડૂતોને પાણીનો લાભ નહીં મળે તો જનઆંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર ખેડૂતોના હિત માટે અનેક યોજનાઓ જાહેર કરે છે, પરંતુ કરોડો રૂપિયાની યોજના છતાં ખેડૂતોને ઍક ટીપું પણ પાણી ન મળે તો આવી યોજનાઓનો હેતુ જ નિષ્ફળ સાબિત થાય છે. હવે જોવું રહ્નાં કે તંત્ર ખેડૂતોના હિતમાં છેલ્લા બે વર્ષથી બંધ પડેલી આ ઉદ્વહન સિંચાઈ યોજનાને ફરી કાર્યરત બનાવી ખેડૂતોને સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરાવી શકશે કે નહીં.?