હેરિટેજ નેરોગેજ લાઈનના ડુંગરડા પુલની મરામત કરાવાશે
- byDamanganga Times
- 25 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૪ ઃ વલસાડના સાંસદ ધવલ પટેલ દ્વારા ડુંગરડાથી વઘઈ સુધી નેરોગેજ ટ્રેનના જનરલ કોચમાં સામાન્ય મુસાફરો સાથે મુસાફરી કરી વિસ્તારની રેલવે સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મુસાફરી દરમિયાન તેમણે સામાન્ય મુસાફરો અને આદિવાસી વિસ્તારના લોકો સાથે સીધો સંવાદ કરી તેમની સમસ્યાઓ, સૂચનો અને જરૂરિયાતો અંગે માહિતી મેળવી હતી. તેમના સહયોગીઅો સંગાથે આ મુલાકાત દરમિયાન ડુંગરડા ખાતે આવેલ આશરે ૧૧૦ વર્ષ જૂના રેલવે પુલનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને પુલની હાલની સ્થિતિ અંગે માહિતી મેળવવામાં આવી હતી.
સાંસદ ધવલભાઈ પટેલે પુલની જરૂરી મરામત તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવે તે માટે રેલવે મંત્રી સમક્ષ રજૂઆત કરવાની ખાતરી આપી હતી.મુસાફરી દરમિયાન સાંસદે અનેક વડીલો અને સ્થાનિક લોકો, મુસાફરો સાથે સંવાદ સાંધતાં ખુશી છવાઈ ગઈ હતી. આ મુલાકાત દ્વારા તેમના દ્વારા ડાંગ જિલ્લાના લોકોની લાગણીઓ, માંગણીઓ અને પ્રશ્નોને નજીકથી જાણી યોગ્ય સ્તરે પહોંચાડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
