કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીપાદ નાયકે સેલવાસની મુલાકાત લીધી
- byDamanganga Times
- 18 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૧૭ ઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બાર વર્ષના કાર્યકાળ દરમિયાન વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના કાર્યોને લઈને કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીપાદ નાયકે આજે સિલવાસાની મુલાકાત લીધી.
આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી, દાદરા અને નગર હવેલી તથા દમણ-દીવ પ્રદેશના અધ્યક્ષ મહેશભાઈ અગરિયા સહિત પક્ષના અન્ય આગેવાનોઍ તેમનું સ્વાગત કર્યું.
તેમના પ્રવાસ દરમિયાન કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીપાદ નાયકે ભાજપના હોદ્દેદારો સાથે સિલવાસા સ્થિત નમો મેડિકલ કોલેજની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે મેડિકલ કોલેજના ડીન સાથે મુલાકાત કરી અને સંસ્થામાં ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ, તબીબી શિક્ષણ તેમજ આધુનિક સુવિધાઓ અંગે માહિતી મેળવી.
આ અવસરે નાયકે કેન્દ્રશાસિત પ્રદેશમાં થયેલા વિકાસ કાર્યોની પ્રશંસા કરતાં જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આદિવાસી બહુલ આ પ્રદેશમાં આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તેમણે જણાવ્યું કે આજે અહીંના નાગરિકોને આધુનિક આરોગ્ય સેવાઓ, વધુ સારી તબીબી સુવિધાઓ અને ગુણવત્તાસભર મેડિકલ શિક્ષણ ઉપલબ્ધ થઈ રહ્નાં છે, જે પ્રદેશના સર્વાંગી વિકાસનું પ્રતીક છે.
