સોળસુંબામાં જર્જરિત કસ્તુર પ્લાઝા ઍપાર્ટમેન્ટને ૭ દિવસમાં તોડી પાડવાની સૂચના
- byDamanganga Times
- 20 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૧૯ ઃ સોળસુંબા ગામે આવેલ કસ્તુર પ્લાઝા ઍપાર્ટમેન્ટ બિલ્ડીંગ આશરે ૩૫ વર્ષથી વધુ જૂની હોવા સાથે હાલમાં અત્યંત જર્જરિત સ્થિતિમાં પહોંચી ગઈ છે. બિલ્ડીંગની હાલતને ધ્યાનમાં લેતા કોઈપણ સમયે દુર્ઘટના સર્જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગ્રામ પંચાયત દ્વારા નિયમોનુસાર બિલ્ડીંગ ખાલી કરાવી તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી છે. નોટિસ મુજબ બિલ્ડીંગમાં રહેલા તમામ ફલેટધારકો તથા ભોંયતળિયે આવેલી દુકાનો તાત્કાલિક ખાલી કરવાની રહેશે.
ગ્રામ પંચાયત દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે નોટિસ મળ્યાથી ૭ દિવસની અંદર બિલ્ડીંગ ખાલી કરી તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવી ફરજિયાત રહેશે. જો આ સૂચનાનો પાલન નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં સર્જાનાર કોઈપણ દુર્ઘટના માટે સંબંધિત લોકો જાતે જવાબદાર રહેશે.
ઉલ્લેખનીય છે કે સદરહુ બિલ્ડીંગ મુખ્ય માર્ગ પર આવેલ હોવાથી જાહેર સુરક્ષાને પણ ગંભીર જોખમ ઉભું થઈ શકે છે. તેથી તમામ રહેવાસીઓ અને દુકાનદારોને તાત્કાલિક સૂચના પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
