ઉમરગામમાં શ્રી ગંગાદેવી માતાજીનો મેળો ૨ ઍપ્રિલથી શરૂ
- byDamanganga Times
- 20 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૧૯ ઃ ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામે દર વર્ષે યોજાતો પ્રખ્યાત શ્રી ગંગાદેવી માતાજીનો મેળો આ વર્ષે ચૈત્ર સુદ પૂનમ, ગુરૂવાર તા. ૦૨ ઍિ-લ ૨૦૨૬થી ભવ્ય રીતે શરૂ થઈ ચૈત્ર વદ આઠમ, શુક્રવાર તા. ૧૦ ઍપ્રિલ ૨૦૨૬ના રોજ પૂર્ણ થશે. મેળાના પ્રથમ દિવસે હનુમાન જયંતિ નિમિત્તે સવારે ૦૭ઃ૦૦ કલાકે હવન યોજાશે. ત્યારબાદ સવારે ૦૮ઃ૩૦ કલાકે શ્રી ગંગાદેવી માતાજીનો હવન યોજાશે. મેળાના અંતિમ દિવસે ઍટલે કે તા. ૧૦ ઍપ્રિલે સવારે ૦૮ઃ૩૦ કલાકે ચૈત્ર વદ આઠમનો હવન યોજાશે. મેળાના પ્રથમ દિવસે ઍટલે કે તા. ૦૨ ઍપ્રિલે સવારે ૧૧ઃ૩૦થી બપોરે ૦૩ઃ૩૦ સુધી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું આયોજન માનવ કલ્યાણ સેવા સંઘ દ્વારા કરવામાં આવ્યું છે. શ્રી ગંગાદેવી સંસ્થાન કમિટીઍ આપેલ માહિતી મુજબ, મેળામાં દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે આવે છે અને પોતાની માનતાઓ પૂર્ણ થવાની શ્રદ્ધા સાથે ભાગ લે છે. મેળામાં વિવિધ પ્રકારના સ્ટોલ અને દુકાનો દ્વારા અનેક લોકોને રોજગાર પણ મળે છે. વેપારીઓ માટે સ્ટોલ ફોર્મનું વિતરણ તા. ૨૬ માર્ચ ૨૦૨૬થી શરૂ કરવામાં આવશે તેવી જાણકારી આપવામાં આવી છે. મેળાને સફળ અને શાંતિપૂર્ણ બનાવવા માટે વિવિધ સરકારી વિભાગો તથા પોલીસ તંત્ર દ્વારા પણ સહયોગ આપવામાં આવે છે. સંસ્થાન કમિટીઍ તમામ ભક્તોને વધુમાં વધુ સંખ્યામાં હાજરી આપી મેળાને સફળ બનાવવાની અપીલ કરી છે.
