બીલીમોરા પોલીસ દ્વારા ચિરાગ ગોટી પ્રકરણમાં રિકન્સ્ટ્રક્શન
- byDamanganga Times
- 18 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા.૧૭ સુરતના માથાભારે ચિરાગ ઘનશ્યામ ગોટીને બીલીમોરા પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે લાવી મંગળવારે ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.ઍક વર્ષ અગાઉ રૂ.૧૧ હજારના હિસાબી વિવાદમાં ચિરાગ ગોટીઍ પોતાના પાર્ટનરના સગા પાર્થ મીયાણીને બીલીમોરા નજીક પોંસરી સુઈ તલાવડી વિસ્તારમાં ભાડાની ઓફિસમાં ગોંધી રાખી બેરહેમીથી માર માર્યો અને તેનો વીડિયો વાયરલ કર્યો હતો. બાદમાં અપહરણ કરી સુરતના ફાર્મહાઉસ પર લઈ જઈ વધુ અત્યાચાર ગુજારતા તેને ગંભીર ઇજા પહોંચી હતી.
ધમકીઓના કારણે પીડિતે ફરિયાદ ટાળી હતી, પરંતુ ચિરાગ ગોટીઍ સુરત પોલીસ સમક્ષ સરેન્ડર કર્યા બાદ ફરિયાદ નોંધાતા પોલીસે અપહરણ, ગેરકાયદે અટકાયત અને ધમકી સહિતના ગુનાઓ નોંધ્યા છે.રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીના ચહેરા પર કોઈ પસ્તાવો જોવા મળ્યો ન હતો. પોલીસ હવે વધુ તપાસ કરી રહી છે.
