વાજવડ ભવાનીમાતા મંદિરે શ્રીમદ્દ ભાગવત કથાનો પ્રારંભ
- byDamanganga Times
- 16 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીવલ, તા. ૧૫ ઃ વલસાડ જિલ્લાના નાનાપોઢા તાલુકાના વાજવડ અને સુખાલા ગામે ધાર્મિક ભાવના અને આધ્યાત્મિકતા પ્રસરાવવા માટે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ગામના ભક્તમંડળ અને સત્સંગીઓના સંયુક્ત પ્રયાસોથી આ ધાર્મિક મહોત્સવ ૨૧ માર્ચ ૨૦૨૬ સુધી યોજાશે.
વાજવડ ગામે આવેલ ભવાની માતા મંદિરે દરરોજ ૧૬ તારીખ થી સવારે ૦૯ઃ૩૦થી ૦૧ વાગ્યા સુધી કથાનું આયોજન રહેશે. જ્યારે ૧૫ માર્ચે સુખાલા ગામના પટેલ ફળિયામાં સાંજે ૦૮થી ૧૧ વાગ્યા સુધી વિશેષ સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો.
આ ધાર્મિક પ્રસંગમાં વિખ્યાત કથાકાર પ.પૂ. સંતશ્રી વિજય ભાપુ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના જીવન-સંગો, ધર્મ અને ભક્તિના તત્વો પર આધારીત શ્રીમદ્ ભાગવત કથાનું પાવન વચનામૃત ભક્તોને સંભળાવવામાં આવશે. કથાના માધ્યમથી આધ્યાત્મિક જીવનના મૂલ્યો, સંસ્કાર અને સદાચાર અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
આયોજકોના જણાવ્યા મુજબ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં ધાર્મિક ચેતના અને સંસ્કારનો સંદેશ ફેલાવવાનો છે. કથા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. ભક્તો માટે બેસવાની વ્યવસ્થા સહિત જરૂરી સુવિધાઓ પણ કરવામાં આવી રહી છે.
આ પ્રસંગે ભજન-કીર્તન, પૂજા-અર્ચના અને ધાર્મિક પ્રવચનો દ્વારા ભક્તોને આધ્યાત્મિક આનંદનો અનુભવ થશે. ગામના આગેવાનો દ્વારા સમગ્ર વિસ્તારના ભક્તોને પરિવાર સાથે ઉપસ્થિત રહી કથાનો લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.
