Damanganga Times.

Damanganga Times.

March 09, 2026

બીલીમોરા શ્રી મોરાઈ માતા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

બીલીમોરા શ્રી મોરાઈ માતા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધ)

બીલીમોરા, તા.૦૮ ઃ  બીલીમોરાના જ્યુબિલી તળાવ પાસે નવનિર્મિત શ્રી મોરાઈ માતા મંદિર ખાતે શનિવારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અત્યંત ભક્તિમય માહોલમાં પ્રારંભ થયો હતો. શ્રી અંબા માતા, શ્રી મરકી માતા અને શ્રી મોરાઈ માતાની અસીમ કૃપાથી આયોજિત આ નૂતન મંદિરના મહોત્સવમાં વૈદિક વિધિ દ્વારા પૂજાવિધિ અને વાસ્તુપૂજન કરવામાં આવ્યું હતું. 

શનિવારે સવારે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓઍ જોડાઈને ધર્મલાભ લીધો હતો. સમગ્ર મંદિર પરિસરમાં વહેલી સવારથી જ જય માતાજીના નાદ સાથે આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. 

ગણેશજી અને હનુમાનજીના આશીર્વાદ સાથે શરૂ થયેલા આ દ્વિ-દિવસીય મહોત્સવમાં ગ્રહ શાંતિ યજ્ઞનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 

શનિવારના પ્રથમ દિવસે ધાર્મિક વિધિઓ સંપન્ન થયા બાદ રવિવારે મહોત્સવના વિશેષ આકર્ષણ રૂપે મહાઆરતી,બપોરે  તમામ શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદ તેમજ રાત્રે મંદિરના પટાંગણમાં ભવ્ય ગરબાનું આયોજન કરાયું હતું. જેમાં ખેલૈયાઓ મનભરી માતાજીની આરાધના કરી હતી.

આ પવિત્ર પ્રસંગે બીલીમોરા અને આસપાસના વિસ્તારના ભાવિક ભક્તો માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.