નવસારીમાં કેન્દ્રીયમંત્રી દ્વારા રૂ.૨૬ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરાયું
- byDamanganga Times
- 03 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા.૦૨ ઃ નવસારીના દશેરા ટેકરી ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે રૂ. ૨૬ કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં જલાલપોરની નવનિર્મિત મામલતદાર કચેરી, ઝ઼પ્જ્ યોજના હેઠળના કામો અને પંચાયત સિંચાઈ યોજનાના ચેકડેમ કમ ટાઈડલ રેગ્યુલેટર જેવા મહત્વના પ્રોજેક્ટ્સનો પ્રારંભ કરાયો હતો. મંત્રી પાટીલે જણાવ્યું હતું કે, નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરમાં વિકાસની ગતિ તેજ બની છે અને સરકાર નાગરિકોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપી મોડેલ નવસારી બનાવવા સંકલ્પબદ્ધ છે. તેમણે ભવિષ્યની પેઢી માટે જળ સંચયનો સંકલ્પ લેવા પણ નાગરિકોને અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે નવસારી જિલ્લા વિકાસ વાટિકા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
મંત્રી નરેશભાઈ પટેલે આ પ્રોજેક્ટ્સને લોકકલ્યાણકારી ગણાવી જિલ્લાની સુખાકારીમાં વધારો થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના સ્વાગત પ્રવચન સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ,જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ, મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરી, ડીડીઓ પુષ્પલતા, ઍસપી રાહુલ પટેલ અને ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્ના હતા.
