વલસાડનું મોરારજી દેસાઈ મ્યુઝિયમ ખંડેર બન્યું
- byDamanganga Times
- 03 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૨ ઃ ભારતના પૂર્વ વડાપ્રધાન અને વલસાડના પનોતા પુત્ર સ્વ. મોરારજીભાઈ દેસાઈની સ્મૃતિને જીવંત રાખવા માટે વલસાડ નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલું મ્યુઝિયમ આજે જાળવણીના અભાવે ખંડેર હાલતમાં ફેરવાઈ રહ્નાં છે. લોકોના ટેક્સના કરોડો રૂપિયા ખર્ચીને તૈયાર કરવામાં આવેલો આ પ્રોજેક્ટ હાલ તંત્રની ઘોર બેદરકારીનો નમૂનો બની ગયો છે.
વર્ષ ૨૦૧૫માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે આ ડિજિટલ મ્યુઝિયમ અને ઓડિટોરિયમનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આશરે ૩ કરોડના ખર્ચે બનેલા આ મ્યુઝિયમમાં મોરારજીભાઈના જીવન પ્રસંગો અને તેમની વસ્તુઓનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમયે ઍવી આશા હતી કે આ સ્થળ વલસાડ માટે ઍક નવું આકર્ષણ બનશે. પરંતુ થોડા જ સમયમાં પાલિકાની ઉદાસીનતાને કારણે આ મ્યુઝિયમને તાળા લાગી ગયા હતાં. ગંદકી અને ખંડેરનું સામ્રાજ્ય હાલમાં આ મ્યુઝિયમની હાલત અત્યંત દયનીય છે. લાખોના ખર્ચે વસાવવામાં આવેલા પ્રોજેક્ટર અને ડિજિટલ સ્ક્રીનો ધૂળ ખાઈ રહ્ના છે. મ્યુઝિયમની છત અને દીવાલોમાંથી પોપડા ઉખડી રહ્ના છે અને ચોમાસામાં પાણી ટપકવાની સમસ્યા પણ જોવા મળે છે. જાળવણીના અભાવે અને મ્યુઝિયમ બંધ રહેતા આસપાસના વિસ્તારમાં ગંદકી વધી છે અને રાત્રિના સમયે અસામાજિક તત્વોનો જમાવડો થતો હોવાની ફરિયાદો ઉઠી છે.વલસાડના જાગૃત નાગરિકોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્ના છે. લોકોનું કહેવું છે કે જો નગરપાલિકા આ મ્યુઝિયમ ચલાવી શકતી ન હોય તો કરોડોનો ખર્ચ કેમ કરવામાં આવ્યો ? ઍક મહાન વિભૂતિના નામ સાથે જોડાયેલું આ સ્મારક અપમાનજનક સ્થિતિમાં છે. જે વલસાડના શાસકો માટે શરમજનક બાબત છે. નગરપાલિકાના સત્તાધીશો આ મ્યુઝિયમને ફરી કાર્યરત કરવા માટે ક્યારે જાગશે કે પછી આ ભવન કાયમ માટે ખંડેર બની રહેશે તે તો આવનારો સમય જ કહેશે.
