બીલીમોરા-ગણદેવી પંથકમાં રમઝાનનો પ્રારંભ
- byDamanganga Times
- 20 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા.૧૯ ઃ આકાશમાં રમઝાનનો મુબારક ચાંદ દેખાતાની સાથે જ મુસ્લિમ બિરાદરોમાં ખુશીની લહેર દોડી ગઈ છે અને ગુવારથી પવિત્ર રમઝાન માસના પહેલા રોજાનો પ્રારંભ થયો છે. ઇસ્લામ ધર્મમાં રમઝાન માસને અત્યંત પવિત્ર માનવામાં આવે છે, જે માત્ર ભૂખ્યા-તરસ્યા રહેવાનો નહીં, પરંતુ આત્મશુદ્ધિ, અલ્લાહની ઇબાદત અને દીન-દુખિયાઓની સેવા તેમજ ઝકાત કરવાનો સમય છે.
સમગ્ર માસ દરમિયાન મુસ્લિમ બિરાદરો પાંચ વખતની નમાજ અને કુરાન-ઍ-પાકનું પઠન કરી પોતાનો મહત્તમ સમય અલ્લાહની બંદગીમાં વ્યતીત કરશે.
આ આસ્થાના પર્વ નિમિત્તે બીલીમોરાની ઐતિહાસિક ઈદગાહ મસ્જિદ, દેસરા સ્થિત મદીના મસ્જિદ તેમજ ગણદેવીના તોરણગામ ઈદગાહ મસ્જિદ અને જમાદારવાડ મસ્જિદ ખાતે વિશેષ રોશની અને તૈયારીઓ કરવામાં આવી છે. રમઝાનના અંતે ઉજવાતી ઈદ નિમિત્તે આ તમામ મસ્જિદોમાં સેંકડો મુસ્લિમ બિરાદરો ઍકસાથે નમાજ અદા કરી દેશમાં અમન અને શાંતિની દુઆ માંગશે.
