ફણસામાં આયુષ્ય મેળો યોજાયો
- byDamanganga Times
- 20 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૧૯ ઃ જિલ્લા વિકાસ અધિકારી વલસાડ અને નિયામક આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા-વલસાડ દ્વારા આજે ફણસા સ્થિત કોળી પટેલ સમાજ સાંસ્કૃતિક ભવન ખાતે સર્વરોગ આયુર્વેદિક-હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ અને અમૃતબાલ રસાયણ વિતરણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં આયુષ્માન આરોગ્ય મંદિરના યોગ ઇન્સ્ટ્રક્ટર ચીશીલભાઈ અને સૌરભભાઈ દ્વારા સુંદર યોગ નિદર્શન સાથે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા આયુર્વેદ અધિકારી ઉવબિન સી. પટેલે તેમના પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું કે, આયુર્વેદ માત્ર ઔષધિઓ પૂરતું સીમિત નથી, પરંતુ તે ઍક ગહન પરંપરાગત પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે. જેનો હેતુ માત્ર રોગ મટાડવાનો જ નહીં, પરંતુ સ્વસ્થ વ્યક્તિનું સ્વાસ્થ્ય જાળવવાનો પણ છે. તેમણે ગ્રામજનોને ઋતુચર્યા અને પ્રકૃતિ મુજબ આહાર-વિહાર અપનાવવા અનુરોધ કર્યો હતો.કાર્યક્રમમાં બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વિશેષ પાવડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેની ઉપયોગિતા અંગે ડો. સ્વાતિ પાંચલે વિસ્તૃત સમજ આપી હતી.ડો. અર્ચના પટેલ દ્વારા તૈયાર કરાયેલ આયુર્વેદ પાનક (સ્વાસ્થ્યવર્ધક પીણું) અને રસોડાની ઔષધિઓનું લાઈવ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. કેમ્પમાં ડૉ. મનીષભાઈ, ડૉ.તેજસ પટેલ, ડૉ.અર્ચના પટેલ સહિતના તબીબોઍ સેવાઓ આપી હતી. અગ્નિકર્મ જેવી વિશેષ ચિકિત્સા પદ્ધતિ માટે ડો. સ્વાતિ ચૌધરીઍ સેવા આપી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય અલકાબેન શાહ, મુકેશભાઈ પટેલ, દીપકભાઈ મિસ્ત્રી, જીજ્ઞેશભાઈ મરોલીકર, તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન, મહેશભાઈ આહિર, ડો. નીરવભાઈ શાહ અને ફણસાના સરપંચ નિમિષભાઈ પટેલ સહિતન અગ્રણીઓ અને આંગણવાડીની બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્ના હતા. સમગ્ર કાર્યક્રમની આભારવિધિ સરકારી આયુર્વેદ દવાખાના ધોડીપાડાના મેડિકલ ઓફિસર દ્વારા કરવામાં આવી હતી.
