વાપી અને સંઘપ્રદેશમાં ઠેર ઠેર મહાશિવરાત્રી ઉજવાશે
- byDamanganga Times
- 14 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૩ ઃ વાપી અને સંઘ પ્રદેશ દમણ તથા દાદરા નગર હવેલીમાં આવેલ શિવાલયોમાં મહાશિવરાત્રી મહોત્સવ સાથે અનેક સ્થળે હોમાત્મક, લઘુરુદ્ર યજ્ઞ અને મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે શિવાલયોના ટ્રસ્ટીઓ તેમજ વહીવટી તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાય છે સાથે શિવાલયોમાં લાઇટિંગ લગાવી ઝળહળતુ કરાયું છે.
મહાશિવરાત્રી ઍટલે કે શિવભક્તો માટે ઍક મહત્વનો દિવસ કહેવાય છે આ મહાશિવરાત્રી પર્વ તા.૧૫ ફેબ્રુ. ૨૦૨૬ને રવિવારના રોજ હોય જે અંગે વાપીના સિધ્ધનાથ મહાદેવ મંદિર, રાતાના રામેશ્વર મહાદેવ મંદિર, લવાછાના રામેશ્વર મહાદેવ મંદિર, કુંતાના કુંતેશ્વર મહાદેવ મંદિર, નામધાના ગુેશ્વર મહાદેવ મંદિર તેમજ ડાભેલ સોમનાથના સોમનાથ મહાદેવ મંદિર તેમજ દલવાડાના બાસુકીનાથ મંદિર અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના બિન્દ્રાબિન તેમજ ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી રહી છે. જે અંગે મોટાભાગના શિવાલયો ખાતે મેળાનું આયોજન પણ કરાય છે જેમાં મોટી સંખ્યામાં વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશમાં વસતા શિવભક્તો ઉમટી પડે છે જે અંગે મંદિર પરિસરના પૂજારીઓ ટ્રસ્ટીઓ તેમજ વહીવટી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા કરાઈ રહી છે સાથે અનેક મંદિરોમાં હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ તેમજ યજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
