સેલવાસના ઍક રિસોર્ટમાં આદિવાસી કર્મચારીની શંકાના આધારે હેરાનગતિ ?
- byDamanganga Times
- 06 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૦૫ ઃ કોંગ્રેસના નેતાઍ આરોપ લગાવ્યો છે કે ટ્રીટ હોટેલ્સ ઍન્ડ રિસોર્ટ્સના મેનેજમેન્ટ દ્વારા ચોરીની શંકાના આધારે ઍક આદિવાસી કર્મચારીને ગેરકાયદે રીતે અટકાવીને તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. આ ઘટનાને આદિવાસી સમુદાય સામે થતી વારંવારની હેરાનગતિનો ભાગ હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે.
પીડિતની ઓળખ અશ્વિન હરજી સા, નિવાસી રુદાણા ગામ, તરીકે કરવામાં આવી છે. તેઓ છેલ્લા ૧૦ વર્ષથી હોટેલના હાઉસકિપિંગ વિભાગમાં કાર્યરત હોવાનું જણાવાયું છે. આરોપ મુજબ, ૩ ફેબ્રુઆરીઍ હોટેલના રૂમમાંથી થયેલી કથિત ચોરીની શંકા પરથી તેમને અટકાવવામાં આવ્યા હતા અને બપોરે લગભગ ૩ વાગ્યે સાઈલી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા. કોંગ્રેસનો આરોપ છે કે પોલીસ સ્ટેશનમાં અશ્વિન સા પર ચોરી કબૂલ કરાવવા માટે દબાણ કરવામાં આવ્યું અને તેમની સાથે મારપીટ કરવામાં આવી. સાંજે લગભગ ૬.૩૦ વાગ્યે પોલીસ દ્વારા છોડ્યા બાદ પણ તેમને ફરીથી હોટેલ મેનેજમેન્ટને સોંપવામાં આવ્યા હોવાનો આરોપ છે, જે સમગ્ર પ્રક્રિયા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે આ કોઈ ઍકલી ઘટના નથી અને અગાઉ પણ હોટેલ મેનેજમેન્ટ દ્વારા આદિવાસી કર્મચારીઓ સાથે આવો વ્યવહાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. રોજગાર ગુમાવવાની ભીતિ અને દબાણના કારણે ઘણા પીડિતો ફરિયાદ નોંધાવતા નથી, ઍવું પણ જણાવાયું છે. આ મામલે દાદરા અને નગર હવેલી કોંગ્રેસ પ્રમુખ દ્વારા વીડિયો મારફતે આરોપો જાહેર કરવામાં આવ્યા છે. સમાચાર લખાતા સુધી હોટેલ મેનેજમેન્ટ અથવા પોલીસ પ્રશાસન તરફથી કોઈ સત્તાવાર પ્રતિભાવ મળ્યો ન હતો.
