વાંસદાના જેસીઆઈ રોયલ દ્વારા દાદીમાંના સ્વપ્નાનું ઘરમાં પ્રવેશ
- byDamanganga Times
- 28 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાંસદા, તા.૨૬ ઃ જેસીઆઈ વાંસદા રોયલ દ્વારા સમાજસેવાની ઍક અનોખી અને પ્રેરણાદાયી કામગીરી કરવામાં આવી. ઉનાઈ ચરવી ગામે રહેતા વૃદ્ધ દાદી ગં-સ્વ સુરેખાબેન નટુભાઈ પટેલનું ઝૂંપડું તાજેતરમાં આવેલા વાવાઝોડામાં સંપૂર્ણપણે તૂટી ગયું હતું. આ બાબતની જાણ થતાં જ જેસીઆઈ વાંસદા રોયલના પ્રમુખે ઍડવોકેટ જેસી વિજયભાઈ પટેલ ઘવારા તરત જ મદદનો સંકલ્પ કર્યો અને માત્ર ઍક જ મહિનાના સમયગાળામાં દાદી માટે નવું રહેણાંકનું ઘર તૈયાર કરી આપ્યું. આજરોજ આ નવા ઘરના ગૃહપ્રવેશનો કાર્યક્રમ ભાવભેર યોજાયો હતો. પોતાનું સપનું પૂરું થતા દાદી સુરેખાબેન અત્યંત ખુશ અને ભાવવિભોર થઈ ગયા હતા.
આ કાર્યક્રમમાં ઉદ્ઘાટક તરીકે પિયુષભાઈ પટેલ (મહામંત્રી, ગુજરાત રાજ્ય આદિજાતિ મોરચો – ભાજપ) મુખ્ય મહેમાન તરીકે જે.ઍફ.ઍસ. સિદ્ધાર્થ ભટનાગર અને જેસી મિલિંદ પારેખ અતિથિ વિશેષ તરીકે નિતેશભાઈ (સરપંચ, રૂપવેલ), મનીષભાઈ પટેલ (અગ્રણી કાર્યકર્તા, રાયવાડી) તથા રાકેશભાઈ (સરપંચ, હનુમાન બારી) આ પ્રસંગે જેસીઆઈ વાંસદા રોયલના પ્રમુખ જેસી વિજયભાઈ પટેલ, સેક્રેટરી જેસી કુલદીપ, આઈ.પી.પી જેસી મિતુલ ભાવસાર, પુર્વ પ્રમુખ જેસી ધર્મેન્દ્રસિંહ, જેસી ધમેશભાઈ પુરોહિત જેસી આશિષભાઈ, જેસી જીત સહિત સંસ્થાના અન્ય સભ્યો તથા ગામના અગ્રણીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જેસીઆઈ વાંસદા રોયલ દ્વારા કરવામાં આવેલી આ સેવા સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે અને સંસ્થાની માનવસેવાની ભાવનાને ઉજાગર કરે છે.
