ટોકરખાડાથી બસ સ્ટેશન હંગામી ધોરણે આમલી ખસેડાયું
- byDamanganga Times
- 24 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૨૩ ઃ ટોકરખાડા વિસ્તારમાં નવા બસ સ્ટેન્ડના નિર્માણ કાર્યને કારણે હાલનો બસ સ્ટેન્ડ અસ્થાયી રીતે ખસેડવામાં આવ્યો છે. વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ઘટાડવા અને વાહનવ્યવહાર સરળ બનાવવા માટે આ નિર્ણય લેવાયો છે.
હવે તમામ બસ સેવાઓ આમલી ચાર રસ્તા નજીક આવેલા ગાયત્રી મંદિર પાસેના ખુલ્લા મેદાનમાંથી સંચાલિત થશે. અહીંથી જીઍસઆરટીસી, ઍમઍચઆરટીસી તેમજ ઇલેક્ટ્રિક બસોનું આગમન અને પ્રસ્થાન આગામી આદેશ સુધી કરવામાં આવશે.
શહેરમાં વધતા મુસાફરો અને વાહનોની સંખ્યાને ધ્યાનમાં રાખી આ અસ્થાયી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નવા બસ સ્ટેન્ડના નિર્માણ બાદ મુસાફરોને વધુ સુવિધાઓ, વ્યવસ્થિત ટ્રાફિક વ્યવસ્થા અને સુરક્ષિત વાતાવરણ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. પ્રશાસન દ્વારા નાગરિકો અને મુસાફરોને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે અને જણાવાયું છે કે આ વ્યવસ્થા શહેરના દીર્ઘકાળીન વિકાસના હિતમાં કરવામાં આવી છે.
