Vishesh News »

ખિનુ : બાબુભાઈ ચૌધરી

પ્રાસંગિક -પ્રા.ડો અરવિંદ બી.પટેલ ઓઝર, વલસાડ મો. ૯૯૨૫૨ ૫૫૧૪૧. વલસાડ, નવસારી, ડાંગ જિલ્લા તથા સંઘપ્રદેશ દમણ, દાદરા નગર હવેલીનું વાપીથી પ્રગટ થતું સૌ પ્રથમ સંપૂર્ણ સ્થાનિક દૈનિક ‘દમણગંગા ટાઇમ્સ’માં ‘મારી બોલી, મારી વાત’ અને ‘સંવેદન’ તથા ‘વાપી સંકેત’ સાાહિકમાં ‘મોર કરે તે કળા’ કૉલમથી જાણીતા બાબુ ચૌધરી પ્રથમ નવલકથા ‘ખિનુ’ (૨૦૨૩)થી ગુજરાતી સાહિત્યમાં પ્રવેશે છે. ગુજરાતી સાહિત્યમાં કપરાડા પંથકની આદિવાસી પ્રજા, ઍની સમસ્યાઓ, આસ્થાના કેન્દ્રો, પ્રાકૃતિક પરિવેશ આદિ વણસ્પશ્યો રહ્ના છે, તેને સૌપ્રથમ બાબુ ચૌધરી ‘ખિનુ’ નવલકથા દ્વારા આપણી સમક્ષ મૂકી આપવાનું સ્તુત્ય કાર્ય કરે છે. પ્રકૃતિના ગોદમાં વસેલું નાનકડું ગામ વાજવડ ઍમની વતન ભોમકા. જે ભોમકામાં ઍ જન્મયાં, ઉછેર્યાં અને વિકસ્યા કહો કે, જાણ્યું, માણ્યું અને અનુભવ્યું ઍનું નિરૂપણ ઍમણે ‘ખિનુ’ નવલકથામાં સુપેરે કર્યું છે. કુદરતના ખોળે વસવાટ કરતો ભોળો, ભલો, પ્રકૃતિપ્રેમી, પર્યાવરણનું રખોપું કરનાર આદિલોક અહીં આલેખાયો છે. નવલકથા વાસ્તવિક સ્થળો અને કાલ્પનિક ઘટનાઓ પર અવલંબિત છે. નવલકથાકારે વાચકોને પ્રસ્તાવનામાં મીઠી ટકોર પણ કરી છે અહિયાંનાં ઉલ્લેખનીય સ્થળોથી પરિચિત બનો તો વધુ વાંચવામાં રસ જાગે તેમ છે. છતાં સ્થળો અને જંગલ પરિચય સાથે જંગલ પેદાશની ચીજ વસ્તુઓથી સમીપ રહીને વાંચવાની અનેરી મજા આવે તેમ છે. લેખકનો વતનપ્રેમ અને પ્રકૃતિપ્રેમ જ આ નવલકથા સર્જનનું ચાલકબળ બન્યુ હશે ઍવું મારું માનવું છે. નવલકથાના આરંભે કથા નાયિકા ખિનુ વહેલી સવારે વડીના જંગલમાં પ્રવેશી આદિવાસી લોકોની આસ્થાનું પવિત્ર સ્થાનક પીઠાના ગોળાની પૂજા કરે છે. કેટલીક સ્ત્રીઓ જંગલમાં ગયેલાં કઠિયારાઓની સલામતી માટે આ સ્થાનકની પૂજા કરે છે. પીઠાના ગોળા સાથે વણાયેલી પૌરાણિક લોકકથા પણ અહીં રજૂ થઈ છે, જે પાંડવોના ગુ વનવાસ સાથે જોડાયેલી છે. જાનપદી કૃતિ ‘ખિનુ’માં આદિવાસી ગરીબ પરિવારની કથા છે, જેમાં ખિનુ, રેણુકા અને રિયા – ત્રણ બહેનો વચ્ચે ઍક ભાઈ ભુવન, માંદી મા અને દારૂડિયા પિતાની જિંદગી તેર પ્રકરણમાં રજૂ થઈ છે. કુટુંબની સઘળી જવાબદારી કથા નાયિકા ખિનુ અને ભુવન પર નિર્ભર છે. નાનકડી ઝૂંપડીમાં રહે છે. કરમદા અને લાકડાં વેચી જીવન નિર્વાહ ચલાવે છે. વાપીથી ફરગાનું કુટુંબ કયારેક રજામાં આવે ત્યારે રોજગારી મળી રહે. આર્થિકતંગીના લીધે જ બંને ખપ પૂરતું ભણ્યા છે. માંડ માંડ સૂકી રોટલી ભેગાં થતાં. મોટાભાગે આંબીલથી જ ચલાવી લેવું પડતું. ખિનુના પિતા તો દારૂ પીને પડ્યા રહે છે. ઍમણે તો દેવું ચૂકવવા લાકડા કાપવાની કુહાડી સુધ્ધાં વેચી નાંખી. ઘરમાં મા લાંબા સમયથી બિમાર છે. મા ઍટલી દુબળી હતી કે કોઈ ઍને અડકવાનું પણ ટાળતા હતા. ગામમાં દાક્તર કે દવાખાનું ન હતું. આખરે ભૂવા પાસે વન્યઔષઘિ કરાવતાં ઘરમાં ભૂવાને આપવાના રુપિયા ન હોવાથી માની છેલ્લી યાદી ચાંદીની વીંટી આપવી પડે છે, છતાં માને સારું ન થતાં મિસ્ટર ફરગાની મદદથી ખિનુની માને મોરખલ દવાખાને દાખલ કરવામાં આવે છે. દારૂડિયો પિતા, માની માંદગી, ફરગાના અપમાન જનક શબ્દો, બહેનોના લગ્ન કરવાના, ઘરમાં અનાજ અને પૈસાની તંગીના લીધે ભુવન રોજગારીની તલાશમાં છે. ગામમાં મજૂરી કરવાથી પોતાના કુટુંબનું પોષણ થવાનું ન હોવાથી વાપી જવાનું વિચારે છે. ઍવામાં ખબર પડે છે કે, વાજવડ અને આજુબાજુના ગામોનાં હરિયાળા ખેતરો તેમજ વડીના જંગલોની વચ્ચે, પાંચસો ઍકર જમીનમાં કારખાનાઓ, વસાહતો, દુકાનોની હારમાળાઓ - આખું નગર ઊભું થવાનું છે. ઘર આંગણે સૌને રોજગારી મળી જશે ઍ આશાવાદે ભુવન સહિત ગામના ઘણાં યુવાનો રાજીપો અનુભવે છે, પરંતુ ઍમનો ઍ આશાવાદ ઠગારો નીવડે છે. કારખાના તો તાલીમ પામેલા ઈજનેરો અને કારીગરોથી જ ચાલે. ખપ જોગા ભણેલા યુવાનોને કારખાનામાં કાળી મજૂરીવાળી, ઓછા પગારની નોકરી સિવાય કશું હાથ લાગવાનું નથી. ઍ સત્ય સમજતાં ગ્રામીણ યુવાઓને બહુ વાર લાગતી નથી. વાજવડમાં રાસાયણિક કારખાનાઓ નંખાવાથી કોઠરથી મોરખલની કિનારા પટ્ટી પરના ચૌદ ગામોને અસર થવાની વાત વાયુવેગે પ્રજાજનોમાં પ્રસરે છે. ઍક તરફ ગ્રામજનોમાં ચિંતાનું મોજું અને બીજી તરફ જનઆક્રોશ ફાટી નીકળે છે. રાસાયણિક કારખાનાઓના વિરોધ માટે ખેડૂતો અને ગામલોકોની વિશાળ રેલી નીકળે છે, જેમાં મોરખલના યુવાન મિલન ડેલકર કહે છે આપણી જમીન ઝૂંટવાઈ જવાની છે. જ્યાં આપણે આપણા કુટુંબ માટે આંબા અને ઊંચી કોટિની ડાંગર પકવીઍ છીઍ. ત્યાં ઍમને કરખાના બાંધવા છે. આપણો પાક નાશ પામશે જેથી ઍને બદલે ઍમનાં કારખાનાં ઊભા થઈ શકે. ઍમનાં કારખાનાંનો બધો ગંધવાડ વડીમાં ઠલવાશે. જ્યારે રાસાયણિક ખાતર તૈયાર કરાય ત્યારે ઘણો ગંધવાડ અલગ કરી ઍનો નિકાલ કરવો પડે. આ ઝેરી નિકાલ વડીમાં ઠલવાશે ઍટલે માઈલોના માઈલોમાંનાં વડી જંગલના ઝાડ નાશ પામશે. આપણે આપણી જમીન વિના, જંગલ વિના, જીવીશું કઈ રીતે ? જે આદિવાસી જનોઍ મોરખલથી આગળ પગ નહોતો મૂકયો, જેની પાસે બસ ભાડાની રકમ ન હતી, ઍવાં આદિવાસીઓ, ખેડૂતો, ગ્રામજનો, કથા નાયક ભુવન અને આગેવાનો જળ, જમીન અને જંગલ – પર્યાવરણને બચાવવા ચારસો કિ.મી. દૂર ગાંધીનગર જઈ મુખ્યમંત્રીને આવેદન આપી રજૂઆત કરે છે. ભુવન તો ગાંધીનગરના બહુમાળી મકાનો, વાહન વ્યવહાર, જંગલમાં જેટલા વૃક્ષો હોય ઍથીય વધુ સંખ્યામાં રસ્તા પરના લોકોને જોઈ વિસ્મય પામે છે. અરે ! મહાત્મા ગાંધીજીના જીવન અને ઉપદેશ પર બનેલું સંગ્રહાલય જોઈને ભુવન કિશોર ગાંધીની કલ્પના કરવા લાગી જાય છે. ગાંધીનગરથી ભુવન અનેક વિટંમણાઓ વેઠીને ઔદ્યોગીક શહેર વાપી પહોંચે છે. વાપીમાં રહેતું ફરગાના પરિવારના ઘરે જાય છે, પરંતુ ફરગાના પરિવાર તો વાજવડ ગયું છે. જ્યાં મદદની આશા હતી ત્યાં તો ઍને નિરાશા સાંપડે છે. થાકેલો, ભૂખ્યો, અશક્ત, ભયભીત અને નિઃસહાય ભુવન શ્રીકૃષ્ણ ભોજનાલય પહોંચે છે, જ્યાં શ્રીકૃષ્ણ ભોજનાલયનો માલિક ઉખેડ વગર ઓળખાણે ભુવનને કામ પર રાખે છે, ઍ દરમિયાન હિતેચ્છુ, દયાળુ અને મદદગાર ઘડિયાળી ભુવનને ઘડિયાળનું હુન્નર શીખવે છે. ચોમસામાં ‘કૌકતે’ વવાઝોડું ત્રાટકતાં ભારે નુકસાન થાય છે. વાપીમાં નવ મહિના ગાળ્યા પછી દિવાળી આવતાં ભુવન પોતાના ગામ વાજવડ બસમાં બેસીને આવે છે. માની તબિયત સારી થવાથી દવાખાનામાંથી રજા લઈ ઘરે લાવે છે, સદનસીબે પિતાઍ દારૂ પીવાનું છોડી દીધું છે. નવલકથાના અંતે આદિવાસી લોકની જળ, જમીન, જંગલ-પર્યાવરણને બચાવવાના યત્નો નિષ્ફળ જાય છે. કથા નાયક ભુવન પોતાના જ ગામમાં પોલ્ટ્રીફાર્મ ખોલવાનું વિચારે છે. નવલકથાનો આરંભ પવિત્ર સ્થાનક પીઠાના ગોળાની પૂજાથી થાય છે અને અંત પણ પીઠાના ગોળાની પૂજાથી આવે છે. ઈતિહાસ સાક્ષી છે કે, આદિવાસીઓઍ જળ, જમીન, જંગલ-પર્યાવરણને બચાવવા અનેક બલિદાનો આપ્યાં છે. અનેક સંઘર્ષો કર્યાં છે. આ નવલકથામાં મુખ્યમંત્રીને રજૂઆત કર્યાં પછી પર્યાવરણ સંદર્ભે સંઘર્ષ આલેખાયો જ નથી. નવલકથાને અંતે ન્યાયાલયમાં કેસ હારી ગયાનો ઘટસ્ફોટ થાય છે. વિકાસના નામે આદિવાસી નિર્ભર છે તે પર્યાવરણનો જ વિનાશ થઈ રહ્ના છે જેવાં ચિંત્ય વિષયને લઈને શરુ થયેલી નવલક્થા અંતે શરણાગતિ કે પલાયનવાદ તરફ ગતિ કરતી જોવા મળે છે. પક્ષી નિરીક્ષક ભુવનને શીખ આપે છે – ચકલીઓ અને કબૂતરો શહેરી જીવનને અનુકૂળ થઈ ગયા છે. ખેતરના અનાજ અને જીવડાં ખાવાને બદલે ખોરાક અને કચરા પર જીવતા રહે છે; તેમ તારે પણ તારા નવાં વાતાવરણને અનુરૂપ થવું રહ્નાં. ‘ખિનુ’માં વૈવિધ્યસભર પાત્રસૃષ્ટિના દર્શન થાય છે. લેખકે નવલકથાનું શીર્ષક કથા નાયિકા ખિનુને આધારે પસંદ કર્યુ છે. ‘ખિનુ’ નવલકથાનું મહત્વનું જમા પાસું ઍની વર્ણનકળા છે. નવલકથામાં વર્ણનકળાના ઉત્તમ નમૂનાઓ મળે છે. લેખક પોતે તળપદ બોલીના સારા જાણકાર છે, છતાં આ જાનપદી રચનામાં ક્યાંય તળપદ બોલીનો વિનિયોગ કર્યો નથી, જે કઠે છે.... તેમ છતાં ‘ખિનુ’ નવલકથા ઍકવાર અવશ્ય વાંચવા જેવી-વાંચનક્ષમ કૃતિ બની છે, તે ક્ષણે શ્રી બાબુભાઈ ચૌધરીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન.