Vishesh News »

શ્રી વર્ધમાન સેવા મંડળ - વાપી દ્વારા મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે પતંગના દોરાથી ઘાયલ થયેલ ૫૦ થી વધુ પક્ષીઓને જીવનદાન અપાયું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી,તા.૧૬ઃ વાપી તાલુકામાં કરુણા અભિયાન ૨૦૨૪ અંતર્ગત ૧૩, ૧૪ અને ૧૫ તારીખ સુધી શ્રી વર્ધમાન સેવા મંડળ - વાપી દ્વારા મકરસંક્રાંતિ ઉત્સવ દરમિયાન પતંગના દોરાથી ઘાયલ થયેલ ૫૦ થી વધુ પક્ષીઓને સારવાર આપી જીવનદાન અપાયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વાપી તાલુકામાં મકરસંક્રાંતિ ઉત્સવ દરમિયાન ઘાયલ થતાં પશુ પક્ષીઓને બચાવવા માટે શ્રી વર્ધમાન સેવા મંડળ - વાપી દ્વારા વનવિભાગના માર્ગદર્શન હેઠળ નિઃશુલ્ક પક્ષી નિદાન કેન્દ્ર ઉભુ કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્સવ દરમિયાન પતંગના દોરા થી ઘાયલ થતાં પશુ પક્ષીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે, સારવાર માટે પક્ષીઓના નિષ્ણાંત ડો. જાલેન્દ્ર કે મહાલા દ્વારા ઉત્તમ સારવાર આપવામાં આવે છે તથા ટીંકું મેમોરિયલ ટ્રસ્ટ, વાપી ઍનિમલ રેસ્ક્યુ અને શ્રી આદિજીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈના સહયોગ થી કેમ્પનું આયોજન કરવામાં આવે છે, ગુજરાત રાજ્યના ફાઇનાન્સ અને ઍનર્જી મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા પક્ષી નિદાન કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી અને વર્ધમાન સેવા મંડળની કામગીરીને વધાવી હતી, આ વર્ષે ૨ ઘુવડ અને અન્ય પક્ષીઓ મળી કુલ ૪૨ પક્ષીઓને સારવાર આપી જીવનદાન આપવામાં આવ્યુ અને ૫ જેટલા પક્ષીઓ સારવાર મળે ઍ પહેલાંજ મૃત્યુ પામ્યા હતા. દરવર્ષની જેમ ઘાયલ પશુ પક્ષીઓના આંકડામાં ઘટાડો થયો છે અને જીવદયા પ્રેમીઓમાં આ વાતની ખુશી છે અને આવતા વર્ષે પણ આ આંકડાઓ ઓછા થાય ઍવી આશા રાખી છે, લોકોને તહેવાર ખૂબ ઉમંગ અને ઉત્સાહ થી ઉજવવો જોઇઍ પરંતુ નિર્દોષ પશુ પક્ષીઓનું પણ ધ્યાન રાખવું જોઈઍ.