Vishesh News »

આજે વલસાડ સ્ટેશન પર જન ઔષધી કેન્દ્ર અને ‘ઍક સ્ટેશન, ઍક ઉત્પાદન સ્ટોલ’નું ઈ-લોકાર્પણ

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૧ ઃ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે આજે તા. ૧૨ માર્ચના રોજ સવારે ૮ કલાકે અમદાવાદના સાબરમતી ખાતેથી રેલવેના વિવિધ પ્રોજેક્ટનું શિલાન્યાસ, લોકાર્પણ તેમજ ૧૦ વંદે ભારત ટ્રેન અને ૪ વિસ્તારિત વંદે ભારત ટ્રેનો સહિત અનેક અન્ય નવી રેલ સેવાઓનો વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી શુભારંભ કરાવશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રિય રેલવે, સંચાર તથા ઈલેકટ્રોનિક્સ અને સુચના પ્રૌધોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવ અને નવસારીના સંસદ સભ્ય સી.આર.પાટીલ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ અંતર્ગત વલસાડ રેલવે સ્ટેશન ઉપર પણ સવારે ૮ કલાકે બુકિંગ ઓફિસની સામે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંસ્કૃતિ કાર્યક્રમ, મહાનુભાવોનું ઉદબોધન અને બુકિંગ ઓફિસની સામે પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર અને ‘‘ઍક સ્ટેશન, ઍક ઉત્પાદન સ્ટોલ’’ હેઠળ વલસાડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. ૨ પર હસ્ત શિલ્પ પ્રોડકટ (હાથ બનાવટની વસ્તુઓ)ના વેચાણ માટે સ્ટોલનું રાષ્ટ્રને સમર્પિત થનારા વિવિધ પ્રોજેકટની સાથે વડાપ્રધાન દ્વારા ઈ-લોકાર્પણ કરવામાં આવશે. ‘ઍક સ્ટેશન, ઍક ઉત્પાદન સ્ટોલ’ થકી સખી મંડળ તેમજ સ્થાનિક મંડળોને રોજગારીની તક ઉપલબ્ધ કરાશે.