Vishesh News »

હનુમાનભાગડામાં નદી કિનારે બે લાશ દફનાવાયાની જાણ થતાં દોડધામ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા.૨૧ ઃ વલસાડ નજીકના હનુમાનભાગડાગામે નદી કિનારે બે લાશો દાટી હોવાના સમાચાર મળતા વલસાડ સીટી પોલીસ, સરપંચ દોડી ગયા હતાં. જો કે જે અંગે વલસાડ નાયબ મામલતદારને જાણ કરાતા તેમની હાજરીમાં બંને જગ્યા પર જેસીબીથી ખોદકામ કરતાં કશું નહીં મળતા પોલીસને મોટી રાહત મળી હતી. વલસાડ નજીકના હનુમાનભાગડા ગામે માછીવાડ વિસ્તારમાંથી પસાર થતી ઔરંગાનદી કિનારે લાશ દાટી હોવાના સમાચાર ફેલાતા ગ્રામજનોના ટોળેટોળા નદી કિનારે દોડી ગયા હતાં. જે અંગે ગામના સરપંચ પ્રીતિબેન પટેલને થતા તેમણે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ વલસાડ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. નદી કિનારે બનાવવામાં આવેલા બે કબર જેવા દેખાતા માટીના ઢગલા જોવા મળતા પોલીસે પણ વલસાડ નાયબ મામલતદારને ફોન કરતા તેઓ પણ ઔરંગાનદી કિનારે દોડી ગયા હતા. જોકે બંને જગ્યાઍ પોકલેનથી ખોદકામ કરવામાં આવતા ઍક જગ્યામાંથી કશું મળ્યું ન હતું. જ્યારે બીજી જગ્યાઍ ખોદકામ કરતાં તેમાંથી દોરડું અને સાડી મળી આવતા પોલીસ ગ્રામજનો અને સરપંચને મોટી રાહત મળી હતી.