Vishesh News »

પારનેરા ડુંગર વિસ્તારમાં દીપડાની દહેશતથી જાહેર ચેતવણીના બેનરો લાગ્યા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનધિ) વલસાડ, તા. ૧૫ ઃ વલસાડના પારનેરા જયહિંદ ચોક તથા આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડો દેખાતો હોવાથી અતુલ ગ્રામપંચાયત દ્વારા ડુંગર ઉપર તેમજ આજુબાજુ વિસ્તારમાં જાહેર ચેતવણીના બેનર લગાવવામાં આવ્યા છે. વલસાડ તાલુકાના પારનેરા ઝંડા ચોક વિસ્તારમાં છેલ્લા ત્રણેક મહિનાથી ડુંગરની આસપાસના વિસ્તારોમાં સાંજકે રાતના સમયે હિંસક પ્રાણી દીપડો ફરતો હોવાથી ગામોમાં ભયનો માહોલ જોવા મળી રહ્ના છે. જયહિંદ ચોક વિસ્તારમાંથી દિપડો રસ્તો ક્રોસ કરતો હોવા અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદ વન વિભાગની ટીમે દીપડાને ઝડપી પાડવા માટે પાંજરું પણ ગોઠવવામાં આવ્યું હતું. પરંતુ આ દીપડો પાંજરાથી દૂર રહી કેટલાક પાલતુ પશુઓનું પણ મારણ કર્યું હતું. વિસ્તારમાં ફરતો દીપડો કોઈ માણસ ઉપર હુમલો ન કરે અને ડુંગર પર દર્શને આવતા ભક્તો તેનો ભોગ ન બને તે માટે અતુલ ગ્રામ પંચાયત દ્વારા લોકોને જાગૃત કરવા માટે પાનેરા ડુંગર પર તેમજ આજુબાજુ વિસ્તારમાં જાહેર ચેતવણીના બેનરો લગાવવામાં આવ્યા છે.