સંકુલના દાતાશ્રીઓ અને મહાનુભાવોનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) બીલીમોરા, તા. ૩૦ ઃ અમલસાડ અક્ષત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત નિર્મળબેન મનુભાઈ ગુલાબભાઈ મહેતા મહેતાવાડી તથા પાર્થમય પાર્ટી પ્લોટ અંતર્ગત શુક્રવારે સાંજે અમલસાડ અક્ષત પરિસરમાં ઓફીસ સંકુલ લોકાર્પણ પ્રસંગે સંકુલના દાતાઓ અને મહાનુભાવોનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો. દીપ પ્રાગટય અને પ્રાર્થના દ્વારા કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. અમલસાડ અક્ષત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મુખ્ય સંકુલ દાતા લતાબેન ઈશ્વરભાઈ મહેતા, પાર્ટી પ્લોટના દાતા પાર્થમય પરિવારના મિતાબેન અજયભાઈ મહેતા, ઓફીસ દાતા ઠાકોરભાઈ રણછોડજી ભગત ટ્રસ્ટ, રંગમંચ દાતા કોકિલાબેન રમણલાલ મહેતા, રસોડાના દાતા વિરમતી આર નાયક, વારી ગૃહ દાતા સુમનભાઈ ભીમભાઈ નાયક, ગેટના દાતા ઠાકોભાઈ રઘુનાથજી નાયક, ડાઇનિંગ હોલના દાતા લલિતાબેન છોટુભાઈ નાયક સહિત ૮ રૂમના દાતાઓનું ફુલહાર, સ્મૃતિચિહ્નન અને શાલ ઓઢાડી અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમારોહ અધ્યક્ષ વડોદરા ઍલ ઍન્ડ ટીના વાઇસ પ્રેસીડન્ટ પરિતોષ નાયક, મુખ્ય મહેમાન જીજ્ઞેશ દેસાઈ, વિશેષ અતિથિ યોગેશ નાયક અને અમલસાડ વિ. વિ. કા. સ. ખેડૂત મંડળી લિ ના પ્રમુખ નિમેશ નાયક તથા અક્ષત ચેરીટેબલ ટ્રસ્ટના માનદ મંત્રી દુષ્યંત નાયક, માજી સરપંચ નિલેશ નાયક સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા. સુરત વનિતા વિશ્રામ યુનિવર્સિટી ના પ્રિ. ડૉ. દક્ષેશ ઠાકરની આગવી છટા અને ભાષણથી લોકો મંત્ર મુગ્ધ થયા હતા. આપ સહુનો સાથ અને સહકાર મળતો રહયો છે અને ભવિષ્યમાં મળતો રહેશે ઍવા દ્રઢ વિશ્વાસ સાથે અક્ષત ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ અજય મહેતા ઍ બે હાથ જોડીને ઉપસ્થિત દાતાઓ અને મહાનુભાવોનો આભાર માન્યો હતો. કાર્યક્રમને અંતે સહુઍ સાથે પ્રીતિભોજન ગ્રહણ કર્યું હતું.