ગણદેવી પાલિકાની તેલુગુ સોસાયટીમાં ભૂગર્ભ લાઈનનું સમારકામ કરાયું
- byDamanganga Times
- 23 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા.૨૨ ઃ ગણદેવી પાણીની ટાંકીથી તેલુગુ સોસાયટીમાં પાણી વિતરણ કરતી ૩ ઇંચ ભૂગર્ભ લાઈનમાં ખામી સર્જાતા પાણી માકલા ફળીયાથી આગળ જતું નથી. જેને કારણે ભર ઉનાળે તેલુગુ સોસાયટીનાં ૧૦૦ જેટલા પરીવારો સામે પાણી સમસ્યા સર્જાઈ હતી. પાલિકાની ટીમ ઍ યુદ્ધનાં ધોરણે ભૂગર્ભ લાઈન ભંગાણનું સમારકામ કરતા નળથી જળ સુલભ બન્યું હતું.
ગણદેવી પાણીની ટાંકીથી દમણિયા થઈ માકલા ફળીયા અને તેલુગુ સોસાયટી સુધી પાણી પહોંચાડતી ૩ ઇંચની ભૂગર્ભ લાઈનમાં ખામી સર્જાતા છેલ્લા ઍક સાહથી પાણીનું વિતરણ માકલા ફળીયા પછી આગળ વધી શકતું ન હતું. પરિણામે તેલુગુ સોસાયટીના રહેવાસીઓઍ ભર ઉનાળામાં પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડતી હતી.સ્થિતિની ગંભીરતા ધ્યાનમાં લઈ ગણદેવી પાલિકા દ્વારા છેલ્લા ચાર દિવસથી સતત પાણીના ટેન્કરો દોડાવી રહી હતી. જેના અખબારી અહેવાલો પ્રસિદ્ધ થતા પાલિકા નવનિયુક્ત પ્રમુખ અનિતા ભંડારી, ઉપપ્રમુખ રાજેશ વકીલ અને કારોબારી ચેરમેન પીનાકીન પંડ્યા સહિત અગ્રણીઓ યુદ્ધનાં ધોરણે ત્વરિત કામગીરી હાથ ધરી હતી. વોટરવર્ક્સનાં ધવલ રાઠોડ સહિત ટીમે ભૂગર્ભ લાઈનનાં ભંગાણને દુરસ્ત કરતા પાઇપ લાઈનમાં પાણી વહેતુ થયું હતું. અને તેલુગુ સોસાયટી માં ઘર ઘર નળથી જળ વિતરણ કરાયું હતું.
