મરઘમાળમાં પાણીની ટાંકી કોરીકટ કેમ?!
- byDamanganga Times
- 22 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૨૧ ઃ ગુજરાત સરકારના પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હેઠળ ટ્રાઇબલ મીની પાણી પુરવઠા યોજના અંતર્ગત અમલીકરણ અધિકારી, યાંત્રિક વિભાગ વલસાડ તથા યાંત્રિક પેટા વિભાગ ધરમપુરની દેખરેખ હેઠળ આદિવાસી વિસ્તારોમાં પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા માટે મીની પાણીની ટાંકીઓ ઉભી કરવામાં આવી છે. જોકે ધરમપુર તાલુકાના મરઘમાળ વિસ્તારના રામકુંડ ફળિયામાં બનાવવામાં આવેલી મીની પાણીની ટાંકી હાલ કોરીખટ હાલતમાં જોવા મળી રહી છે. ટાંકીમાં પાણી ન હોવાને કારણે આ વિસ્તારના આશરે ૮ થી ૧૦ ઘરોના રહીશોને ભર ઉનાળામાં પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્ના છે. ઉપરાંત, રામકુંડ ફળિયામાં ૧૫મા નાણાપંચ અંતર્ગત સ્થાપિત કરાયેલી બીજી સિન્ટેક્સ ટાંકી પણ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે, કારણ કે તેમાં પણ પાણીનો પુરવઠો થતો નથી.
બંને ટાંકીઓ પાણી વિના ખાલી પડતાં મરઘમાળના રામકુંડ ફળિયામાં પાણીની ગંભીર સમસ્યા ઉભી થઈ છે, જેના કારણે ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિક રહીશોઍ સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક ધ્યાન આપી ટાંકીઓમાં નિયમિત પાણી પુરવઠો શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.
