આહવા તાલુકા પ્રમુખ લગન્પ્રસંગ છોડી જંગલની આગ અોલવવા કૂદી પડયા
- byDamanganga Times
- 20 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા. ૧૯ ઃ ડાંગ જિલ્લાનાં વન વિભાગ હેઠળ આવતા ચીંચલી અને માદલબારી ગામની સીમમાં આવેલા સરકારી જંગલમાં અચાનક વિકરાળ આગ (દવ) ભભૂકી ઊઠી હતી. પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહેલી આ આગ પર કાબૂ મેળવવા માટે આહવા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને સ્થાનિક આગેવાન સુરેશભાઈ ચૌધરીઍ પોતાની સામાજિક જવાબદારી પડતી મૂકીને પર્યાવરણ પ્રત્યેની ઉમદા ફરજ નિભાવી હતી, જેની આખા પંથકમાં પ્રશંસા થઈ રહી છે.ઘટનાની વિગતો મુજબ, સુરેશભાઈ ચૌધરી તેમના પત્ની સાથે કારમાં સવાર થઈને વાયદુન ગામે ઍક લગ્નના હલ્દી પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્ના હતા. આ દરમિયાન ચીંચલી-માદલબારી વચ્ચેથી પસાર થતી વખતે તેમણે જંગલમાંથી ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળાઓ નીકળતી જોઈ હતી.અહી પરિસ્થિતિ વણસે તે પહેલાં તેમણે લગ્નપ્રસંગમાં જવાનો પ્લાન પડતો મૂક્યો અને તુરંત જ વાહન થંભાવી દીધું હતુ. જીવના જોખમે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.તેમણે સમય બગાડ્યા વિના વન વિભાગને આ અકસ્માત અંગે સચેત કર્યું હતું.
જોકે, ફોરેસ્ટની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ આગ વધુ ન ફેલાય તે માટે સુરેશભાઈ અને તેમના પત્નીઍ સ્થાનિક સાધના લઈ જીવના જોખમે આગ બુઝાવવાનું શરૂ કરી દીધુ હતુ.
સંદેશો મળતા જ વન વિભાગનો સ્ટાફ પણ ગણતરીની મિનિટોમાં ત્યાં દોડી આવ્યો હતો.
વનકર્મીઓ અને સુરેશભાઈની ટીમે ઍક થઈને સતત દોઢ કલાક સુધી ભારે જહેમત ઉઠાવી આખરે આગને સંપૂર્ણપણે શાંત પાડી દીધી હતી.
