બીલીમોરાના આંગણે ચતુર્થ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો
- byDamanganga Times
- 20 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા,તા.૧૯ ઃ બીલીમોરા પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત ચતુર્થ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ ગુરુવાર સવારે ગાયત્રી મંદિર સંકુલમાં યોજાયો હતો. જેમાં ૪ યુગલોઍ જન્મ જન્માંતર સુધી ઍકમેકને સાથ આપવા ના વચન સાથે સાંસારિક જીવનની શરૂઆત કરી હતી. નવદંપતીને આશીર્વાદ આપવા મોટી સંખ્યામાં સંબંધી શુભેચ્છકો ઉમટી પડ્યા હતા.
લગ્નઍ ભારતીય સંસ્કૃતિમાં પવિત્ર બંધન છે. લગ્ન ઍ બે વ્યક્તિ જ નહીં, પરંતુ બે આત્મા અને બે પરિવારોનું સુખદ મિલન છે. આપણા ઋષિમુનિઓ અને પૂર્વજો ઍ બતાવેલી લગ્ન સંસ્કારની પરંપરાને જીવંત રાખી પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટ ઍ ગુરુવારે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ ગાયત્રી મંદિર સંકુલમાં યોજ્યો હતો. જેમાં વિવિધ સમાજ તેમજ આંતર જ્ઞાતિય લગ્ન કરનારા સહિત કુલ ૪ યુગલોના સંસાર વસ્યા હતા. આ પ્રસંગે ડીજે મ્યુઝિક સિસ્ટમ ઉપર જાનૈયા, માંડવિયા મનમૂકીને ઝૂમ્યા હતા. માંગલિક પ્રસંગો મંડાયા હતા. તમામ યુગલો સપદી નાં સાત ફેરા ફર્યાં હતા. આ અનોખા સમૂહલગ્નમાં વિવિધ સમાજ શ્રેષ્ઠીઓ સહિત સેંકડો લોકોઍ ૪ યુગલોને સહજીવન સફળ બને તેવા આશીર્વાદ આપ્યા હતા. પ્રભુતામાં પગલા પાડતાં નવદંપતીઓને જીવનજરૂરી ૨૩ થી વધુ ઘરવખરી ચીજવસ્તુઓની ભેટ અપાઇ હતી. આ પ્રસંગે પ્રમુખ નટુ સોસા, મહામંત્રી રમેશ પટેલ, મુખ્ય સહાયક રાજેશ ધૂમડીયા, ઈશ્વરભાઈ પટેલઍ લગ્નોત્સવ ને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. સૌને ભાવતાં ભોજનીયા પીરસાયા હતા.
