બીલીમોરામાં જય ફૂલદેવી માતાજીનો બે દિવસીય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
- byDamanganga Times
- 16 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા.૧૫ઃ બીલીમોરાના બંદર રોડ સ્થિત ચોકી ફળિયામાં શ્રી ફૂલદેવી માતા સર્વકલ્યાણ મંડળ દ્વારા આયોજિત નવનિર્મિત મંદિરનો જીર્ણોદ્ધાર અને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રદ્ધા અને ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. બુધવારે કુટીર હવન, ભવ્ય શોભા યાત્રા,જલાધિવાસ અને ભજન સંધ્યા સાથે શરૂ થયેલા બે દિવસીય મહોત્સવમાં બીલીમોરા અને આસપાસના પંથકમાંથી હજારો ભાવિક ભક્તોઍ ઉમટી પડી માતાજીના દર્શનનો લહાવો લીધો હતો. સમગ્ર પરિસર જય માતાજીના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને ધાર્મિક ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું.
મહોત્સવના અંતિમ દિવસે ગુરુવારે સવારે યજ્ઞ પ્રારંભ અને ધજા યાત્રા બાદ બપોરે ૧૨ઃ૩૯ કલાકે શુભ મુહૂર્તે માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ શાસ્ત્રોક્ત પદ્ધતિથી કરવામાં આવી હતી. સાંજે ૨૫ ભક્તોઍ યજ્ઞની પૂર્ણાહુતિ આપ્યા બાદ ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરાયું હતું.જેમાં ૫ હજારથી વધુ ભક્તોઍ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. રાત્રે રાસ-ગરબાની રમઝટ સાથે મહોત્સવનું મંગલ સમાપન થયું હતું. આ પ્રસંગને સફળ બનાવવા શ્રી ફૂલદેવી માતા સર્વકલ્યાણ મંડળના તમામ સભ્યો સહિત માઁઈ ભક્તો ઍ ભારે જહેમત ઉઠાવી હતી.
