વલસાડના ૩૫૦ વર્ષ જૂના પૌરાણિક ગણેશ મંદિરે અંગારકી ચોથની ઉજવણી થશે
- byDamanganga Times
- 05 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૪ ઃ વલસાડ શહેરના મોટા બજારમાં આવેલા સાડી ત્રણસો વર્ષ જૂના ઍવા પૌરાણિક ગણપતિ દાદાના મંદિરે ત્યારે પાંચમી મેના રોજ મંગળવારે અંગારકી ચોથની ભવ્ય ઉજવણી કરવા માટેની તળાવમાં તૈયારીઓ વિચારી રહી છે. આ પ્રસંગે મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
વલસાડ શહેરના મોટા બજારમાં આવેલા ભક્તોની આસ્થાના કેન્દ્ર ઍવા ૩૫૦ વર્ષ જૂના પૌરાણિક શ્રી ગણપતિ દાદાના મંદિરે આગામી તારીખ ૫ મે ૨૦૨૬, મંગળવારના રોજ અંગારકી સંકષ્ટ ચતુર્થી નિમિત્તે વિશેષ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મંગળવારે આવતી આ ચોથનું ગણેશ ભક્તોમાં ભારે મહત્વ હોવાથી મંદિર પ્રશાસન અને પૂજારી પરિવાર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
મંદિર માં આ પવિત્ર દિવસે દાદાના દરબારમાં ભક્તિમય માહોલ જળવાઈ રહે તે માટે નીચે મુજબના કાર્યક્રમો યોજાશે ગણપતિ બાપાની મૂર્તિને વિશેષ ફૂલો અને આભૂષણોથી અલૌકિક અંગરચના (શણગાર) કરવામાં આવશે. વિઘ્નહર્તાના આશીર્વાદ મેળવવા માટે મંદિરમાં સમૂહમાં ગણેશ પાઠનું પઠન રાખવામાં આવ્યું છે. સવાર અને સાંજની ખાસ આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતા છે. ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને દર્શન માટે ખાસ લાઈન અને સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
આ મંદિર વલસાડનું સૌથી પ્રાચીન મંદિરોમાંનું ઍક માનવામાં આવે છે. લોકવાયકા મુજબ, આ મંદિર ૩૫૦ વર્ષથી વધુ જૂનું છે અને અહીં બિરાજમાન ગણેશજીની પ્રતિમા સ્વયંભૂ અને અત્યંત પ્રભાવશાળી છે. અંગારકી ચોથના દિવસે અહીં દર્શન કરવાનું વિશેષ પુણ્ય મળતું હોવાથી માત્ર વલસાડ શહેર જ નહીં, પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ હજારો ભક્તો દાદાના ચરણોમાં માથું નમાવે વિવિધ માનતાઓ બાધા રાખી મંદિરના ફરતે પ્રદક્ષિણા કરતા હોય છે.મંગળવાર, તારીખ ૦૫-૦૫-૨૦૨૬ના રોજ વહેલી સવારથી જ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવશે. પૂજારી પરિવારે તમામ ગણેશ ભક્તોને આ ધાર્મિક મહોત્સવનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.
