સેલવાસમાં મજૂરો માટે અોળખપત્ર ફરજિયાત
- byDamanganga Times
- 02 May, 2026
(દમણગંગા ટાઈમ્ેસ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૦૧ ઃ દાદરા અને નગર હવેલી પ્રશાસને કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ અને જન આરોગ્યને ધ્યાનમાં રાખીને ત્રણ મહત્વપૂર્ણ કડક આદેશો જાહેર કર્યા છે। જિલ્લાની ઔદ્યોગિક ઍકમોમાં કામ કરતા તમામ મજૂરો માટે ઓળખપત્ર ફરજિયાત બનાવવામાં આવ્યા છે. કોન્ટ્રાક્ટરો અને ઉદ્યોગ માલિકોને કર્મચારીઓની ઓળખની વિગતો રાખવા અને પોલીસને જાણ કરવાની સૂચના આપવામાં આવી છે. તે ઉપરાંત સેલવાસ-નરોલી ચાર રસ્તા (શહીદ ચોક), ઝંડા ચોક અને કિલવાણી નાકા તેમજ જિલ્લા સચિવાલય વિસ્તાર અને તેના ૧૦૦ મીટર વિસ્તારની અંદર કોઈપણ સભા, ધરણા અથવા કાર્યક્રમ માટે પૂર્વ મંજૂરી ફરજિયાત રાખવામાં આવી છે. જન આરોગ્યને ધ્યાનમાં રાખીને શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી હોસ્પિટલોના ૧૦૦ મીટર વિસ્તારમાં સિગારેટ, ગુટખા, પાન, બીડી જેવા તમાકુ ઉત્પાદનોની વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નિયમનો ભંગ કરનારાઓને રૂ. ૩૦૦ થી રૂ. ૨૦૦૦ સુધીનો દંડ થશે તેમજ માલ જ કરવામાં આવશે આ આદેશો ૨૭ ઍપ્રિલથી ૨૬ જૂન ૨૦૨૬ સુધી અમલમાં રહેશે. ઉલ્લંઘન કરનારાઓ સામે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
